Vartman Pravah
તંત્રી લેખસેલવાસ

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

  • દાનહના સાંસદ કલાબેન ડેલકરે રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જાહેરમાં તરફેણ નહીં કરી આદિવાસી સમાજ સાથે કરેલો વિશ્વાસઘાત 

  • તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકર પોતાના 30 વર્ષના સંસદીય ઈતિહાસમાં ક્‍યારેય પણ વિરોધ પક્ષમાં નહીં રહ્યા, અને કોઈ એક પક્ષની સાથે પણ નહીં રહ્યા

  • દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણની દીર્ઘદૃષ્‍ટિ અને સુઝ બુઝથી પોતાના પંચાયત સભ્‍યોને સરકારની સાથે સીધી લાઈનમાં રાખવા સફળ રહેતા હવે ધીરે ધીરે તેમની સમસ્‍યાઓનો મળનારો ઉકેલ

                    દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે પોતાની સાધેલી તક ભવિષ્‍યમાં તેમને કેટલી ફળશે એ ભવિષ્‍ય કહેશે અને સૂત્રોની વાત માનીએ તો તેઓ પણ એકનાથ શિંદેના જૂથમાં જવા તૈયાર હોવાના અહેવાલ છે, ત્‍યારે વિશ્વસનીયતા અને વફાદારીની પણ કસોટી થશે. પરંતુ હાલમાં તેમણે બતાવેલી ઉદાસિનતા દાદરા નગર હવેલી માટે ઘાતક સાબિત થવાની પુરી સંભાવના છે. કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકારના હસ્‍તક હોય છે. કેન્‍દ્રમાં ભાજપ શાસિત એનડીએ સરકાર કાર્યરત છે. શિવસેનાના12 સભ્‍યોએ શિંદે જૂથને પોતાનું સમર્થન જારી કર્યું છે અને મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદેની શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરેલું છે.

             અત્રે યાદ રહે કે, 1991-’92માં દેશમાં કોંગ્રેસની સરકાર હતી અને દમણ-દીવના સાંસદ તરીકે ભાજપના પ્રતિક ઉપર શ્રી દેવજીભાઈ ટંડેલ વિજેતા બન્‍યા હતા. શ્રી દેવજીભાઈ ટંડેલને તે સમયની કોંગ્રેસી સરકારે નાકે દમ લાવી દીધો હતો. તત્‍કાલિન કેન્‍દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી સ્‍વ. ઉત્તમભાઈ પટેલનો હસ્‍તક્ષેપ એટલો હતો કે, એક નાનો અધિકારી પણ સાંસદશ્રીની વાતને કાને નહીં ધરતો હતો. તત્‍કાલિન સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલના કોઈ આડાઅવળા કામ નહીં હતા તેથી તેઓ સરકારના સીધા અડફેટમાં નહીં આવ્‍યા હતા, અને એટલે જ દાદરા નગર હવેલીના તત્‍કાલિન સાંસદ સ્‍વ.શ્રી મોહનભાઈ ડેલકર પોતાના 30 વર્ષના સંસદીય ઈતિહાસમાં ક્‍યારેય પણ વિરોધ પક્ષમાં બેઠા નથી. જ્‍યારે પણ અપક્ષ તરીકે ચૂંટાયા કે પોતાના પક્ષના બેનર હેઠળ વિજેતા બન્‍યા ત્‍યારે ત્‍યારે મોહનભાઈ ડેલકરે લોકસભામાં શાસક પક્ષ એટલે કે, સરકારનું જ સમર્થન કર્યું છે.

                2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બન્‍યા બાદ 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેમણે એનડીએના ઘટક દળ એવા જનતા દળ (યુ)નું દામન પકડયુંહતું. કારણ કે, રાજકીય પક્ષના બેનર હેઠળ ચૂંટણી લડવી એ તેમની મજબૂરી હતી. જેમાં દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે બિહારના મુખ્‍યમંત્રી શ્રી નીતિશ કુમાર સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં બિહારમાં જનતા દળ (યુ) અને ભાજપનું ગઠનબંધન હોવા છતાં દાદરા નગર હવેલીમાં ભાજપની સામે જનતા દળ (યુ)ને લડાવવા સમજાવી શક્‍યા હતા.

                દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકર પાસે જનતા દળ(યુ)નો સારો વિકલ્‍પ હતો. તેમની પાસે અપક્ષ ઉમેદવારી કરવા માટેની પણ સુંદર તક હતી. છતાં એનડીએનો છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી જેવી વિરોધી વિચારધારા વાળી પાર્ટી  સાથે ગઠજોડ કરનારી શિવસેનાનું શરણ લીધું હતું.

                 દેશભરમાંથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને એનડીએ દ્વારા પસંદ કરાયેલા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણમાં લોક જુવાળ પેદા થયો હતો. દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ બને એ દરેક માટે ગૌરવની ઘટના હોવાની સાથે દાદરા નગર હવેલી જેવા બહુમતિ આદિવાસી વિસ્‍તારનું સ્‍વાભિમાન જોડાયેલું હોવા છતાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે જાહેરમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણ નહીં કરીને સમસ્‍ત દાદરા નગર હવેલી સહિત સમસ્‍તઆદિવાસી સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે. છેલ્લે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણમાં મત આપવા નિર્દેશ આપ્‍યો હતો.

                  દાદરા નગર હવેલીનું સદ્‌્‌ભાગ્‍ય છે કે, જિલ્લા પંચાયત જનતા દળ (યુ)ના હસ્‍તક છે અને નગરપાલિકા ઉપર ભાજપનો કબ્‍જો છે. દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણની દીર્ઘદૃષ્‍ટિ અને સુઝ બુઝથી પોતાના પંચાયત સભ્‍યોને સરકારની સાથે સીધી લાઈનમાં રાખવા સફળ રહ્યા છે. જેના કારણે હવે તેમની સમસ્‍યાઓનો લગભગ સંપૂર્ણ નિકાલ આવવાની સંભાવના છે.

                બીજી બાજુ ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન હંમેશા દરેક રાજ્‍યો જિલ્લા અને તાલુકાઓના સર્વાંગી અને સમતોલ વિકાસના હિમાયતી છે. જેના કારણે જ આજે દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારના લોકો સુધી શિક્ષણ આરોગ્‍ય અને માળખાગત સુવિધાની સાથે ભારત સરકારની વિવિધ યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકી છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ભલે જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના પક્ષનું પ્રતિક અને નૈતિક તાકાત આપનારા જનતા દળ (યુ) સાથે દ્રોહ કર્યો હોય, પરંતુ હવે તેઓ શિવસેનાને વફાદારી પૂર્વક વળગી રહેશે કે કેમ? કઈ શિવસેના તરફ પોતાનોઝોક રહેશે તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થશે. (સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે શ્રીમતી કલાબેન ડેલકર એકનાથ શિંદે જૂથના સીધા સંપર્કમાં છે અને તેઓ કોઈપણ ક્ષણે ઉદ્ધવ ઠાકરે અને આદિત્‍ય ઠાકરેનો છેડો ફાડી એકનાથ શિંદેના કેમ્‍પમાં ચાલી જશે.)

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment