-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ખુબ જ ટૂંકા સમયમાં એક એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહેલું દાનહ અને દમણ-દીવ
-
દમણમાં NIFTના 18મા કેમ્પસની સ્થાપના થવાથી પ્રદેશના ઉદ્યોગો અને સમગ્ર આર્થિક ગતિવિધિ ઉપર પડનારા સકારાત્મક પ્રભાવની સાથે નવા રોકાણના દ્વાર પણ ખુલશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ પ્રમુખ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી(NIFT)ના 18મા કેમ્પસની સ્થાપના દમણમાં થતાં આભારની લાગણી પ્રગટ કરી હતી.
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, NIFTનો પ્રારંભ દમણમાં થવાથી આ વિસ્તારના ઉદ્યોગો અને સમગ્ર આર્થિક ગતિવિધિ ઉપર સકારાત્મક પ્રભાવ પડશે, અને નવા રોકાણના દ્વાર પણ ખુલશે.
વધુમાં પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ દાદરાનગર હવેલી અને દમણ-દીવ ખુબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં એક એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહ્યો છે. મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, પેરા મેડિકલની કોલેજ ઉપરાંત હવે NIFTના પ્રારંભથી વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સંઘપ્રદેશમાં આવી રહ્યા છે. જેના કારણે પ્રદેશના પ્રવાસન વિકાસમાં પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે સંઘપ્રદેશમાં NIFTની સ્થાપના કરવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો છે અને દમણના ઉદ્યોગ જગતના લોકો પણ પ્રસન્ન હોવાનું જણાવ્યું હતું.