ગણપતિ મહોત્સવ નજીકમાં આવી રહ્યો છે : ફાળા ઉઘરાણીનું નેટવર્ક બેફામ ચલાવાઈ રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડમાં રવિવારી બજારમાં ગણપતિ ફાળો ઉઘરાવવા મામલે મારામારી થઈ હતી. ફાળો નહીં આપનાર ફેરીવાળાને ફાળો ઉઘરાવવા આવેલ અજાણ્યા ઈસમોએ ઢોર માર મારતા બજારમાં મામલો બીચકાયો હતો.
વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર છે. ગ્રામ્ય વિસ્તારના લોકો આ બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે તેથી ફેરી અને પથારાવાળા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે. આ રવિવારી બજારમાં ગતરોજ કોઈ અજાણી ટોળકી વાઉચર-રસીદો લઈ ગણપતિ મહોત્સવના ફાળાની ઉઘરાણી શરૂ કરી હતી. ટોળકીના ઈસમો 100 રૂા. ઉઘરાવી 50 રૂા.ની રસીદ આપતા હતા, જેમને વકરો-વેપાર થયો હતો તેઓ ફાળો આપી રહ્યા હતા પરંતુ બોણી ના થઈ હોય તેવા ફેરીવાળાએ ફાળા નહી આપતા અજાણ્યા ફાળો ઉઘરાવવા આવેલ ટોળકી પેલા વેપારીને જાહેરમાં ઢોર માર મારી ધોઈ નાખ્યો હતો. ઘટના બાદ ગણપતિનો ફાળો ઉઘરાવનારા પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સીટી પોલીસ દોડી આવી હતી. ફાળો ઉઘરાવતા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી.ગણપતિ મહોત્સવને બહાને અસામાજીક તત્ત્વો ફાળાની ઉઘરાણી કરવા બિલાડીના ટોપની જેમ દર વર્ષે નિકળતા હોય છે.