વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ઉમરગામ અને કપરાડા બાર આસોસિએશન વકીલો જોડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: ભારત દેશ આ વર્ષ આઝાદીના 75 વર્ષ પુરા થયા તેથી આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે. શાળા, કોલેજો, સામાજીક સંસ્થા દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નિકળી રહી છે. લોકો આઝાદીનો દિવસ આન બાન અને શાનથી ઉજવી રહ્યો છે. આ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વલસાડ જિલ્લાના તમામ બાર એસોસિએશને કરી હતી. જેમાં વાપી, વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાના વકીલો તમામ શહેરોમાં એક જ સમયે તિરંગા રેલી કાઢીને શહેરોમાં ફરી ભારત માતાનો જય જયકાર કર્યો હતો.
આઝાદી સ્વાતંત્ર્ય સંગ્રામમાં વકીલોનું બહુ મોટું યોગદાન રહેલું છે. દેશની પ્રથમ સંસદમાં પણ મોટા પ્રમાણમાં વકીલો સંસદ સભ્ય બન્યા હતા તેવું જણાવતા વલસાડ બાર એસોસિએશન પ્રમુખ પ્રવિણભાઈ પટેલએ તિરંગા રેલીના આયોજન પાછળનો મહિમા વર્ણવ્યો હતો. વાપીમાં બાર એસો.ના પ્રમુખ શૈલેષ મહેતાની આગેવાની હેઠળ આજે તિરંગા યાત્રા મોટર સાયકલ સ્કૂટરો ઉપર નિકળી હતી. વાપી કોર્ટથી પ્રારંભ થયેલી રેલી છરવાડારોડ, હરિયા હોસ્પિટલ થઈ અંબામાતા મંદિર થઈ ગુંજનથી પરત કોર્ટમાં પહોંચી હતી. સમુહ રાષ્ટ્રગાન બાદ તિરંગા રેલી સમાપ્ત થઈ હતી. જિલ્લાના તમામ બાર એસોસિએશનો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.