રેલીને પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ અને ડીઆઈજી મિલિંદ ડુમ્બેરેએ લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ આજે સવારે 6:30 કલાકે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દમણ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એક બાઈક/સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ અને ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરેએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક/સાયકલ રેલીમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ,આઈઆરબીએનના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓએ જોશભેર રાષ્ટ્રભક્તિના નારા લગાવી તેમણે લોકોને પ્રત્યેક ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ રેલીમાં દમણ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવની સાથે પોલીસ વિભાગના 56, ફાયર વિભાગના 26, એક્સાઈઝ વિભાગના 26, આઈઆરબીએનના 26 જવાન તથા 90 સ્કૂલોના બાળકોએ ભાગ લીધો હતો. આ રેલી મોટી દમણ સી-ફેસ રોડ લાઈટ હાઉસથી શરૂ થઈ જમ્પોર બીચ, જમ્પોર ચાર રસ્તા, ઢોલર ચાર રસ્તા, ડીએમસી માર્કેટ, મોટી દમણ ફોર્ટ થઈ સી-ફેસ રોડ લાઈટ હાઉસ ખાતે સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા, એસડીપીઓ શ્રી મન્ની ભૂષણ સિંઘે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
અત્રે નોંધનીય છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનને સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન નાગરિકોના દિલોમાં દેશભક્તિની ભાવના પેદા કરવાની સાથે રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે જાગૃતતા વધારવાનું પણ કામ કરશે. દરેક ભારતવાસીઓને પોતાના ઘરમાં તિરંગો ફરકાવવા માટે વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત કરવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.