બાઈક સવાર તુષાર રાઠોડનું ઘટના સ્થળે મોતમિત્ર ગોવિંદ પ્રજાપતિ ઘાયલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: રખડતા ઢોર કેટલી હદ સુધી જીવલેણ બની શકે છે તેવી ઘટના આજે શુક્રવારે બપોરે વલસાડ પારનેરા હાઈવે રામદેવ ધાબા સામે બની હતી. બે મિત્રો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા લડતા બે ઢોર બાઈકને અડફેટે લીધું હતું. તેથી બાઈક સવાર બે યુવાનો નીચે પટકાયા હતા. કમનસીબે તે સમયે પાછળથી આવતી ટ્રક બાઈક ઉપર ફરી વળતા એક યુવાનનું ઘટના સ્થળે દર્દનાક મોત નિપજ્યું હતું. બીજો યુવાન ઘાયલ થયો હતો.
આજે બપોરે પારનેરા હાઈવે ઉપરથી સુરત તરફ જતી લાઈન ઉપર બાઈક નં.જીજે 15 ઈડી 7450 ઉપર સવાર થઈને તુષાર રાઠોડ અને મિત્ર ગોવિંદ પ્રજાપતિ રામદેવ ધાબા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન રખડતા બે ઢોર લડતા લડતા બાઈક સાથે ભટકાયા હતા તેથી તુષાર અને ગોવિંદ બન્ને મિત્રો નીચે પટકાયા હતા. અચાનક ટ્રક નં.જીજે 12 ઝેડ 2934 પાછળથી આવીને બાઈક ઉપર ફરી વળી હતી. સર્જાયેલા કરુણ અકસ્માતમાં તુષાર રાઠોડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. તેને પી.એમ. માટે સીવીલમાં ખસેડાયો હતો. જ્યારે ઘાયલ ગોવિંદ પ્રજાપતિને સારવાર માટે લોકોએ ખસેડયો હતો. રખડતા ઢોરોએ સર્જેલી કરુણાંતિકા બાદ લોકોમાં ગુસ્સો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરારથઈ ગયો હતો.