પાલિકા દ્વારા તૈયાર કરાયેલ 100 ફૂટ ઊંચા ધ્વજનું તા.13 ઓગસ્ટ શનિવારે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે સલામી આપી લોકાર્પણ કરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12
દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરતા આઝાદીનો અમૃત મહોત્સવ આવતીકાલ તા.13 થી 15 ઓગસ્ટ સુધી ત્રણ દિવસની ભવ્ય ઉજવણી કરશે તે અંતર્ગત રાષ્ટ્રભર ઘર ઘર તિરંગાનું અભિયાન ગુંજી રહેલ છે. વાપી નગરપાલિકા દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. પાલિકાએ વલસાડ જિલ્લામાં સૌથી ઊંચા ધ્વજનું નિર્માણ કરાયેલ છે. 100 ફૂટ ઊંચા ધ્વજનું આવતીકાલ શનિવારે સવારે 8:00 કલાકે સરદાર ચોકમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે સલામી કાર્યક્રમ યોજાનાર છે. ધ્વજના લોકાર્પણ બાદ શહેરમાં ભવ્ય તિરંગા રેલી નિકળશે. જેમાં શહેરના અગ્રણી નાગરિકો, વેપારીઓ, પાલિકા સભ્યો વિશાળ સંખ્યામાં જોડાશે.
જિલ્લાના સૌથી ઊંચા ધ્વજની વિગતો માટે આજે પાલિકા સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભયશાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈએ પત્રકારોને સવિસ્તાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને પાલિકા દ્વારા 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવી ભેટ આપવાનો પ્રયાસ છે. આ માટે પાલિકાએ 107 ફૂટ ફલેગપોલ તૈયાર કરાયો છે. જેના ઉપર 21 ફૂટ લાંબો અને 14 ફૂટ પહોળાઈ ધરાવતા આ ધ્વજને ‘‘ઝજબા તિરંગા કા”ની થીમ સાથે આકાશમાં લહેરાતો કરાશે. સરદાર ચોકમાં પોલીસ બેન્ડ, વ્હોરા બેન્ડ, સ્કાઉટ, એન.સી.સી.ની ટીમો સાથે દેશભક્તિ સુર અને તાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તિરંગો ફરકાવી સલામી અપાશે અને રાષ્ટ્રગીત ગાન થશે. ત્યારબાદ રેલી નિકળશે. આ કાર્યક્રમમાં ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે તે માટે ટ્રાફિક ડાયવર્ટ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેવા અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે.