(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ટાંકલ ગામે પાટીદાર અગ્રણી અને એપીએમસીના ડિરેકટર જે.ડી.પટેલના નિવાસ સ્થાને પધારતા ત્યાં તેમના પરિવારજનો દ્વારા સ્વાગત કરાયું હતું. બાદમાં જીતુભાઈના નિવાસ સ્થાને ધારાસભ્ય નરેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, તાલુકા પંચાયતના પંકજભાઈ, નરેન્દ્રભાઈ સહિતના સભ્યો, આસપાસના ગામના સરપંચો ઉપરાંતસ્થાનિકોના ખબર અંતર જાણી શુભેચ્છા મુલાકાત કરી હતી. ટાંકલથી રાજ્યપાલ મંગુભાઈનો કાફલો ચિતાલી રવાના થયો હતો. ત્યાં તાજેતરમાં મૃત્યુ પામનાર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સ્વ.નવનીતભાઈ પટેલના પરિવારજનોની મુલાકાત લઈ પરિવરજનોને સાંત્વના પાઠવી હતી. બાદમાં રાનકુવામાં જૂના કાર્યકર સ્વ.શશીકાંતભાઈ પાંચાલના ઘરે પણ જઈ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. ઉપરાંત એપીએમસીના ડિરેકટર હિતેન પટેલની માતાનું નિધન થયેલ તેમની પણ મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે, ચીખલી તાલુકાના ટાંકલ વિસ્તારના 15-જેટલા ગામો ભૂતકાળમાં નવસારી વિધાનસભા બેઠકમાં હતા. અને આ બેઠક પરથી અનેક ટર્મ ધારાસભ્ય પદે મંગુભાઈ રહ્યા હતા. જેથી આ વિસ્તારમાં અનેક પરિવારો સાથે મંગુભાઈ પટેલ ઘેરબો ધરાવે છે. મધ્યપ્રદેશના રાજ્યપાલના પ્રવાસને પગલે ખારેલ-ટાંકલ-રાનકુવા માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.