ધારાસભ્ય ભરત પટેલનો હુંકાર ‘હું ધારુ તો હુલ્લડ થઈ શકે છે’: રાતના 10 વાગતા પોલીસે ડી.જે. બંધ કરાવેલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: આગામી તા.31 ઓગસ્ટથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા પૂર્વે શ્રીજીની મૂર્તિઓ ભક્તો લાવી રહ્યા છે. વલસાડ શહેરમાં લોહાણા મંડળ અને આહિર ગૃપના યુવાનો ગત રાત્રે શ્રીજીની મૂર્ર્તિ સાથે ડી.જે.ના તાલે નાચતા ગાતા તિથલ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે ડી.જે. બંધ કરાવતા ગણેશ ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ધારાસભ્યનીએન્ટ્રી થતા ધારાસભ્ય અને પોલીસ સામસામે આવી ગયેલા ત્યારે ધારાસભ્ય ભરત પટેલએ હુંકાર કરેલો કે હું ધારુ તો હુલ્લડ થઈ શકે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
શ્રીજીની પ્રતિમા વલસાડના તિથલ રોડ ઉપર પસાર થઈ રહી હતી ત્યારે રાતના 10 વાગી જતા પોલીસે ડી.જે. બંધ કરાવતા ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ધારાસભ્ય ભરત પટેલ આવી જતા પી.આઈ. ઢોલ અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યએ ઉશ્કેરાટમાં પોલીસને જણાવી દીધેલ કે હું ધારુ તો હુલ્લડ થઈ શકે છે. જો કે આ મુદ્દે તેમને પાછળથી ખુલાસો કર્યો હતો કે હું ના આવ્યો હોત તો હુલ્લડ થઈ જાત. ધારાસભ્યએ પોલીસને ચોખ્ખું સંભળાવી દીધુ હતું કે, તાજીયા વખતે ડી.જે. ચાલુ રહ્યું હતું તો હિંદુઓના તહેવારમાં કેમ બંધ કરાવાય છે. સમગ્ર ઘટનાને લઈ શહેરમાં ઉત્તેજના ફેલાઈ હતી.