(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે સ્થિત મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોર્મસ કોલેજમાં વીર નર્મદની જન્મજયંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી થઈ હતી. કોલેજના વિદ્યાર્થિનીઓએ જય જય ગરવી ગુજરાતના ગાન સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં ઈન્ચાર્જ આચાર્ય ડો.એસ.યુ. પટેલે માતૃભાષાનું મહત્વ તથા વીર નર્મદ વિશે જણાવ્યું હતું. ચર્ચાસભા ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વીર નર્મદના ગદ્ય વિશે વૈભવી ભસરા તથા તેમની આત્મકથા મારી હકીકત વિશે પ્રતિક્ષા ચૌધરીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પનિતા રોહિતે કર્યું હતું. ચર્ચાસભા અધ્યક્ષ ડો.આશાબેન ગોહિલે સુધારાનો સેનાની નર્મદ વિશે વિગતે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત થયો હતો. પ્રો.નર્મદાબેન પરમાર, પ્રો. વનિતાબેન દેસાઈ, ડો.જે.એમ.સોલંકી તથા કોલેજ પરિવારના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.