(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૨૪: જિલ્લા પંચાયત નવસારીના સ્વભંડોળથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિતા સાગરની પ્રેરણા અને માર્ગદર્શનથી ગતવર્ષની સ્નેહા પ્રોજેક્ટની સફળતા બાદ રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના કુલ ૫૧ સેન્ટરો પર ૩૪૮૯ કિશોરીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની શરૂઆત સ્વરક્ષણની તાલીમ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે કોમ્યુટર શિક્ષણ, ઈંગ્લીશ સ્પીકિંગ, આરોગ્ય ચકાસણી, તંદુરસ્તી માટે પોષણક્ષમ નાસ્તો, ક્રાફટ, મહેંદી અને બ્યુટીપાર્લરની તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે. જેથી કિશોરીઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની સમાજમાં પોતાનું આગવું યોગદાન આપી શકે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી, શાળાના આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.