આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક સવિતા માએ આનંદ,
ઉત્સાહ અને ઉમંગ સાથે આપેલી તાલીમ
તાલીમાર્થીઓએ આર્ટ ઓફ લિવિંગના સ્થાપક આધ્યાત્મિક ગુરુ
શ્રીશ્રી રવિશંકર પ્રત્યે પ્રગટ કરેલી કૃતજ્ઞતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: આર્ટ ઓફ લિવિંગના દમણ ચેપ્ટર દ્વારા આયોજીત ત્રિ-દિવસીય સહજ સમાધી ધ્યાન અભ્યાસક્રમના સમાપનનો કાર્યક્રમ મોટી દમણની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે શિવમૂર્તિ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત શ્રીશ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક સવિતા મા સહજ સમાધી ધ્યાનના અભ્યાસક્રમને લેવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ મોટી દમણના શ્રીફૂડ કોર્નરના હોલમાં અને આજે સમાપન કાર્યક્રમ હિન્દુ સ્મશાનભૂમિના શિવમૂર્તિ સભાખંડમાં સવારે 6 વાગે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક સવિતા મા એ સહજ સમાધીકાર્યક્રમની રૂપરેખા આપતા પહેલા દિવસે સમજાવ્યું હતું કે, આ કાર્યક્રમ તમારા સભાન મનને તમારા પોતાના સ્વભાવના શાંત ઊંડાણોનું અનુભવ કરવા તાલીમ આપે છે. સહજ સમાધી કાર્યક્રમ ધ્યાનનો અભ્યાસ કરવાની સરળ અને સુગમ રીત શીખવે છે. 14 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ધ્યાન કરવાનું શીખી શકે છે.
સહજ સમાધી ધ્યાનથી જીવનની ગુણવત્તામાં પરિવર્તન આવી શકે છે, સારા આરોગ્ય અને મનની ખાતરી કરી શકે છે. સહજ સમાધી ધ્યાનના મુખ્ય લાભો સ્પષ્ટ વિચાર, વધેલી ઊર્જા, બહેતર શારીરિક આરોગ્ય, સુધરેલા સંબંધો તથા માનસિક શાંતિથી લોકો તણાવમાંથી છૂટકારો મેળવી શકે છે અને દિવસને ઉત્પાદક બનાવવામાં મદદરૂપ બને છે.
સહજ સમાધી ધ્યાન અભ્યાસક્રમ આર્ટ ઓફ લિવિંગ દમણ ચેપ્ટરના શિક્ષક શ્રી દિવ્યાંગ પરમાર અને શ્રીમતી શર્મિલાબેન પરમારના સક્રિય પ્રયાસથી શક્ય બન્યો હતો. જેમાં સંયોજક શ્રી અશોકભાઈ રાણા અને અન્ય વરિષ્ઠ શિક્ષકો શ્રીમતી ઉષાબેન રાણા, જ્યોતિબેન (પૂર્વ ડીટીસી), શ્રી બુરતભાઈ પટેલ, શ્રી તેજશભાઈ પારેખ, સુશ્રી નિલમબા જાડેજા, સુશ્રી સુરેખા પટેલ વગેરેએ પોતાનો ઉમદા સહયોગ આપ્યો હતો. આર્ટ ઓફ લિવિંગના સ્વયં સેવકો શ્રીમતી સ્વીટી ઠક્કર, ડો. જલારામ ઠક્કર, સુશ્રી મીલી દેવાંગ, શ્રી કિશોર દમણિયા, શ્રી જેસલ પરમાર, ડો. જયેશ દિક્ષીત અને શ્રીમતી લીનાબેનદિક્ષીતે પોતાની વિવિધ સેવાઓનું પ્રદાન કર્યું હતું. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે સહજ સમાધી ધ્યાન અભ્યાસક્રમનો લાભ લીધો હતો.