(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.2પ: ઉમરગામ નગર પાલિકામાં ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ સામે પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ અને કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મોરચો માંડેલો છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકાના ચીફ ઓફિસર વહીવટમાં સહયોગ આપતા ન હોવાનું બહાનું બતાવી બદલીની માંગ કરવામાં આવી રહી છે. આ લડાઈ ઉમરગામ ટાઉન વિસ્તારમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે અને નગરજનો સર્જાયેલી સ્પર્ધાનું કારણની વાસ્તવિકતાથી પરિચિત થતા સમગ્ર ઘટનામાં કાઉન્સિલરોને દુઃખે પેટ અને કુટે માથું જેવી સ્થિતિનું નિર્માણ થયેલું હોવાનું ગણાવતા હવે આ ઘટનાહાસ્યસ્પદ બની જવા પામી છે.
ઉમરગામ પાલિકામાં હાલમાં રૂપિયા 22 કરોડના ખર્ચે નવા વિકાસના કામોને વેગ મળવાનો છે. નજીકના સમયમાં કામરવાડ વિસ્તારના તળાવની રૂપિયા બે કરોડની ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં બ્યુટીફિકેશન કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત પાલિકાની કચેરીની કામગીરી અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે વિકાસને વેગ આપવામાં આવશે.
ઉમરગામ પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિકાસ રૂંધાયો હોવાનું બહાનું બતાવ્યું છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પાયા વિહોણો આરોપ મુકવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા કરવામાં આવેલી જૂના કામની ચુકવણી પાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની સહમતિ વગર શકય નથી. તમામ કામો પાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની મંજૂરીથી થયેલા હોય ત્યારે ભ્રષ્ટાચારનો મુકવામાં આવેલા આરોપમાં માત્ર ચીફ ઓફિસર જ દોષિત કેવી રીતે બની શકે. આ ફરિયાદની નોંધ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ લેવાની જરૂર છે.
ઉમરગામ પાલિકામાં કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા શ્રી ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર રચનાત્મક કામગીરીમાં નિષ્ફળ હોવાનું પણ ચર્ચામાં છે, જેમની પાસે માત્ર રોડ ઉપરનો ખાડો અને થાંભલા ઉપરની લાઈટ સિવાય બીજું દેખાતું નથીજેના કારણે આજ સુધી એમના દ્વારા કોઈ રચનાત્મક કામગીરી માટે રજૂઆત થવા પામી નથી. પાલિકાના કાઉન્સિલરો દ્વારા પાલિકામાં ચીફ ઓફિસરની અંડરમાં ફરજ બજાવતા સિવિલ એન્જિનિયરને ચીફ ઓફિસરની બદલીની માંગ કરતું આવેદનપત્ર આપી અક્કલનું દેવાળું ફૂંક્યું હોવાનું પણ ચર્ચામાં છે. આ સમગ્ર ઘટના નગરજનોમાં હાસ્યાસ્પદ બની રહી છે.