(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી, યુએસ.એ. દ્વારા ધરમપુર તાલુકાનાં પીપરોળ ગામે 18મી ફેબ્રુઆરી 2024 રવિવારનાં રોજ 51 આદિવાસી દિકરીઓનાં 14મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપીનાં મેનેજીંગ ટ્રસ્ટી પૂરાણી સ્વામી કપિલ જીવનદાસનાં માર્ગદર્શનમાં 14માં સમુહ લગ્નનું આયોજન વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં ઉંડાણનાં ગામ પીપરોળ, ઉમરવેરી ફળિયા ખાતે કરવામાં આવ્યુ છે. આ સમૂહ લગ્નમાં 51 આદિવાસી દિકરીઓ ભાવિ પતિ સાથે પ્રભુતામાં પગલા માંડશે.
આ આદિવાસી કન્યાઓનાં સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન તરીકેસુરતનાં શ્રીમતિ શાન્તાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટનાં ચુનિભાઈ ગજેરા તેમજ પરમ ઈન્ફ્રા. સ્પેસ પ્રા.લી. વલસાડનાં દિપેશભાઈ ભાનુશાલી સહિત અનેક દાતાઓએ વિવિધ પ્રકારે આર્થિક સેવા-સહયોગ આપી સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સમૂહલગ્નોત્સવમાં વલસાડ જિલ્લા એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલા સહિત વાપીનાં વેપારી વર્ગ, ઉદ્યોગપતિઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ શિક્ષણ સેવાની સાથે જ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ-વાપી સેવા, રાષ્ટ્ર સેવા તેમજ કુદરતી આપત્તિઓ સમય પણ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. નિરાધાર દિકરીઓને મફત શિક્ષણ રહેવા, જમવાની સુવિધા સાથે તેમજ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં ધાબળા વિતરણ, ખેડૂતોને આંબાકલમની સહાય સહિત મંદિર નિર્માણનાં કામગીરી પણ ચાલી રહી છે.