-
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના ડોકમરડી ખાતે કોલેજના ઓડિટોરિયમમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે સાયકલ વિતરણ તથા પંચાયત ભવનોના શિલાન્યાસ સમારંભ યોજાયો
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગણપતિ કે નવરાત્રિ મહોત્સવ જેવા ઉત્સવોમાં કરાતા ઉઘરાણાં સામે આપેલી ચિમકીઃ સલામત અને સુરક્ષિત પ્રદેશ બનાવવા લોકોને સહયોગ આપવા પણ કરેલી અપીલ
-
ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈ વર્તમાનને સુરક્ષિત કરી સમૃદ્ધ ભવિષ્યના આયોજન માટે પણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલો માર્મિક ઈશારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના ડોકમરડી ખાતે કોલેજના ઓડિટોરિયમમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે સાયકલ વિતરણ તથા પંચાયત ભવનોના શિલાન્યાસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સમારંભમાં અન્ય વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ લાભોનું વિતરણ કર્યું હતું.
સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે છેલ્લા 6 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે પ્રદેશે ભરેલી ઊંચી ઉડાનની તવારિખરજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોની શિક્ષણ વ્યવસ્થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતા રહી છે. તેમણે ઉપસ્થિત વાલીઓને સ્વચ્છ અને સુરક્ષિત પ્રદેશના નિર્માણ માટે પોતાનો સહયોગ આપવા આહ્વાન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભૂતકાળને ભૂલી વર્તમાનમાં રહી ભવિષ્યને સમૃદ્ધ બનાવવા પણ તાકિદ કરી હતી. તેમણે ગણપતિ કે નવરાત્રિ મહોત્સવમાં કરાતા ઉઘરાણાં સામે પણ પોતાની કડક નીતિને પણ દોહરાવી હતી. તેમણે પ્રદેશને શિક્ષિત, સલામત અને સમૃદ્ધ બનાવવા પ્રશાસને શરૂ કરેલા અભિયાનમાં ખભેથી ખભો મેળવી સહયોગ માટે આગળ આવવા પણ આહ્વાન કર્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસને ગરીબોને નજર સમક્ષ રાખી બનાવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ ગણાવી હતી. લોક પ્રતિનિધિઓને લોકોની સમસ્યાના ઉકેલ માટે પ્રશાસન પ્રતિબધ્ધ હોવાની હૈયાધરપત આપી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે મેડિકલની બેઠક માટે ભૂતકાળમાં થતી ખેંચતાણની પણ જાણકારી આપી હતી. હવે સંઘપ્રદેશ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતાં તેમણે સંઘપ્રદેશના કર્મઠ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભારવ્યક્ત કર્યો હતો.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં સંઘપ્રદેશે ઐતિહાસિક વિકાસ કર્યો છે. આ પ્રકારનો પણ વિકાસ થઈ શકે એવી કોઈની કલ્પના પણ નહીં હતી. પ્રદેશના યુવા ધનનું ભવિષ્ય સલામત અને સમૃદ્ધ બનાવવા બદલ તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો.
આ સમારંભમાં વિવિધ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓએ પણ પ્રશાસકશ્રી પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાલિકાઓને સાયકલ રેલી અને સ્માર્ટ સીટી અંતર્ગત નવી ઈલેક્ટ્રીક બસોના પ્રસ્થાન માટે લીલીઝંડી પણ બતાવી હતી.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, કાઉન્સિલરો, ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ તથા સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.