ધરાસણા ચિલ્ડ્રન હોમમાંથી બાળકને રાજકોટના દંપતિએ દત્તક લઈ મા-બાપ બન્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: કર્મની ગતિ ન્યારી છે તેવી ઘટના આજે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં ઘટી હતી. સાત વર્ષ પહેલાં વાપી રેલવે સ્ટેશન ઉપર મળી આવેલ બિનવારસી બાળકનું સાત વર્ષે ભાગ્ય ખિલી ગયું હતું. રાજકોટના દંપતિએ સરકારની ગાઈડલાઈન અને પ્રોસીજર પુરી કરીને બાળકના માતા-પિતા બની દત્તક લીધુ હતું.
કરુણાસભર ઘટનાની વિગતો મુજબ 2015માં વાપી રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસને આશરે 5 વર્ષિય બિનવારસી બાળક મળી આવ્યો હતો. પોલીસે બાળકને ધરાસણા ચિલ્ડ્રન વેલ્ફેરમાં મોકલી આપ્યો હતો. માતા-પિતાની પોલીસે ખુબ શોધખોળ કરેલી પણ મળેલા નહી. બીજી તરફ બાળક ચિલ્ડ્રન હોમ રહી ભણવા લાગેલો અને અન્ય બાળકો સાથે હળી મળી ગયેલ. રાજકોટનું દંપતિ છેલ્લા 12 વર્ષથી બાળક દત્તક લેવા રજળપાટ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારની ઓનલાઈન પ્રોસીઝર દંપતિએ પુરી કરીને ધરાસણા ચિલ્ડ્રન હોમમાં જઈ બાળક દત્તક લેવા આજે પહોંચી ગયેલા. વલસાડ સી.ડબલ્યુ.સી.ના ચેરપર્સન સોનલબેન અને સોલંકી સ્ટાફે ધરાસણા પહોંચી બાળકને માતા-પિતાને દત્તક આપ્યું હતું. ચિલ્ડ્રન હોમના બાળકો અને સ્ટાફની આંખો ભીની થઈ ગઈહતી. એક બાળકી રાખડી બાંધતી હતી. બાળકીએ હૃદય કઠણ કરી ભાઈને વિદાઈ આપી હતી. રાજકોટ દંપતિ મૂળ બિહારનું છે. રાજકોટ સિમેન્ટ ફેક્ટરીના મેનેજર તરીકે દત્તક પૂત્ર પિતા જોબ કરે છે. આર્થિક સુખી છે, સાત વર્ષ બાદ ધરાસણા ચિલ્ડ્રન હોમના બાળકને માતા-પિતા મળતા ભાગ્ય ખુલી ગયું હતું.