(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી,તા.07: ગત તા.5મી સપ્ટેમ્બર રોજ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે વાપી ખાતે આવેલ શ્રી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરુષઅધ્યાપન મંદિર, મુકામે વર્ષ 2019માં રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા શ્રી વિરેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલ (રહેવાસી ભીમપોર નાની દમણ)નું પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી વીરેન્દ્ર પટેલ હાલ દમણની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા દેવકા કોલોની ઈન્ચાર્જ હેડ માસ્તર તરીકે કાર્યરત છે. દર વર્ષે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, દિલ્હી (શિક્ષણ મંત્રાલય) આયોજિત આ શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ દેશના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકોને આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વાપીની સદર કોલેજમાં એક તાલીમાર્થી તરીકે 2001-’03 દરમિયાન સ્વ. મહેશભાઈ પટેલના આચાર્યપદ હેઠળ કેળવણી મેળવી ગુરુજી અને સંસ્થાનું નામ રાષ્ટ્ર કક્ષાએ ઉજાગર કરવા બદલ કોલેજના હાલના આચાર્ય શ્રી ડૉ. કિરણભાઈ પટેલ અને સંસ્થાના અધ્યાપક તેમજ તાલીમાર્થીઓએ શ્રી વિરેન્દ્રભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રવર્તમાન તાલીમાર્થીઓને પ્રેરણા મળે તેમજ વિરેન્દ્ર પટેલ પોતાના સેવાકાર્યમાં સતત પ્રવૃત્ત રહી શિક્ષણની આ રાહને વધુ ઉજ્જવળ દિશામાં વહાવે એવા શુભ આશીર્વચનસહ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને માઁ સરસ્વતીના તસવીર આગળ દીપ પ્રજવલિત કર્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડૉ. કિરણભાઈ પટેલે શ્રીવિરેન્દ્રભાઈ પટેલને એવોર્ડ મેળવી સંસ્થાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વિરેન્દ્રભાઈ પટેલે કોલેજની જૂની યાદો તાજી કરીને વર્તમાન તાલીમાર્થીઓને શિક્ષિત સમાજનું ઘડતર અને દેશની પ્રગતિ માટે શિક્ષકનું કર્તવ્ય, યોગદાન અને જવાબદારી અંગે સમજ આપી અને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સફળ થવા માટેના જીવનસૂત્ર બતાવ્યા હતા.
શિક્ષણ અને સમાજ માટે ગૌરવસમા આ શિક્ષકશ્રી અને એમના પરિવારે પી.ટી.સી. કોલેજ પરિવાર સમક્ષ આભાર વિધિ પ્રગટ કરી હતી. શ્રી વિરેન્દ્રભાઈ પટેલે ભવિષ્યમાં પણ શિક્ષણના યજ્ઞમાં કર્મની આહુતિ આપતા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.