સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં 10 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમુદ્ર તટ સફાઈ માટે ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણો દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યો છે. તેની કડીમાં ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસના ઉપલક્ષમાં ‘‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન ચલાવાઈ રહ્યું છે.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં આગામી 17મી સપ્ટેબ્બરના રોજ દમણમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ મનાવવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે કલેક્ટરાલયમાં નગરપાલિકા અને પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને બેંકોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં તમામને આ અભિયાન બાબતેમાહિતી આપવામાં આવી હતી અને અનુરોધ કરાયો હતો કે, તેઓ આ જન અભિયાનમાં સહભાગી બને અને તેને સફળ બનાવે. તેમણે જણાવ્યું હતું કે, દમણનો સમુદ્ર કિનારો 15 કિલોમીટરમાં ફેલાયેલો છે. જેમાં તમામ લોકોને જુદી જુદી ટીમોમાં વહેંચીને સમુદ્ર કિનારાની સફાઈ કરવામાં આવશે. આ બેઠકમાં કોસ્ટગાર્ડના કમાન્ડેન્ટ શ્રી કંવરએ 10 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી ચાલનારા કાર્યક્રમના વિષયમાં જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત 10 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી દમણના જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દમણના સમુદ્રી વિસ્તારમાં 10 સપ્ટેમ્બરથી રોજના 2 કિલોમીટરની તરણ સ્પર્ધા પણ રાખવામાં આવશે. ત્યારબાદ 11મી સપ્ટેમ્બરે 75 કિલોમીટરની સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવશે અને 13મી સપ્ટેમ્બરે 75 કિલોમીટરની રીલેદોડની સ્પર્ધા યોજાશે. 15 અને 16મી સપ્ટેમ્બરે પ્રશ્નોતરી અને નિબંધ લેખનની સ્પર્ધા યોજાશે. જ્યારે 17 સપ્ટેમ્બરે મોટા પ્રમાણમાં સમુદ્ર કિનારાની સફાઈનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામને અનુરોધ છે કે તેઓ આ જન અભિયાનમાં મોટી સંખ્યામાં ભાગીદાર બને અને સફળ બનાવે.
અત્રે નોંધનીય છે કે, દમણ એક પર્યટન વિસ્તાર છે. અહીં રોજના સેંકડોનીસંખ્યામાં પર્યટકો આવે છે. જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત આ મહા અભિયાનનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ના સપનાને સાકાર કરવાનો છે. જેનાથી દમણના સમુદ્ર કિનારાને સ્વચ્છ બનાવી શકાય અને કિનારાની પરિસ્થિતિ બાબતે નાગરિકોમાં જાગરૂકતા ફેલાવી શકાય.