રાત્રે 9 વાગ્યા સુધીમાં વિસર્જન પૂર્ણ કરવું, જે મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાશે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ ડે. કલેક્ટર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકામાં ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે દસમા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ગણેશજીનું વિસર્જન ધામધુમ પૂર્વક કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગણેશ વિસર્જનમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવ્યું હતું. પરંતુ બે વર્ષ બાદ સરકારે છૂટછાટ આપતા ગણેશજીનું વિસર્જન ચીખલીની કાવેરી નદી સ્થિત ઓવારા પર, તલાવચોરા સ્થિત કાવેરી નદી ખાતે તેમજ કુકેરી ચક્કરિયા સ્થિત કાવેરી નદી કિનારે કરવામાં આવશે. ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેમાં 1-ડીવાયએસપી,2-પીઆઈ, 5-પીએસઆઈ, 65-પોલીસકર્મીઓ, 90-હોમગાર્ડ, 100-જેટલા જીઆરડી, ઈન્ચાર્જ મામલતદાર વકેરિયા, સર્કલ મામલતદાર સુરેશભાઇ દેસાઈસહિતનો સ્ટાફ ખડેપગે રહેશે.
નવસારી જિલ્લા ડેપ્યુટી કલેકટર વાઘેલા, ચીખલીના ઇન્ચાર્જ મામલતદાર વકેરિયા, ટીડીઓ હિરેન ચૌહાણ, ચીખલી પીઆઇ-કે.જે.ચૌધરી, એલઆઈબીના મંગુભાઇ પટેલ સહિતનાઓએ ચીખલી કાવેરી નદી સ્થિત ઓવારાની મુલાકાત લઈ નાયબ કલેકટરે માહિતી મેળવી હતી. જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ગણેશ વિસર્જન મોડામાં મોડું રાત્રે 9 કલાક સુધીમાં પૂર્ણ કરવા અને જે પણ મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.