April 17, 2026
Vartman Pravah
ડિસ્ટ્રીકટતંત્રી લેખ

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

(ભાગ-11)

દમણ-દીવમાં સાંસદ પુત્ર કેતનભાઈ પટેલની રાજનીતિ પણ પરવાને ચડી હતી

2004ની લોકસભા ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે વિજયી થયા હતા અને દાદરા નગર હવેલી બેઠક ઉપરથી ભારતીય નવશક્‍તિ પાર્ટીનું ગઠન કરી શ્રી મોહનભાઈ ડેલકર સતત છઠ્ઠી વખત લોકસભામાં જવા ભાગ્‍યશાળી રહ્યા હતા. કેન્‍દ્રમાં કોંગ્રેસ શાસિત યુપીએ સરકારનું ગઠન થયું હતું. લોકસભામાં પાતળી બહુમતિ હોવા છતાં ફરી એક વખત મોહનભાઈ ડેલકરના હોંઠ આગળ આવેલો મંત્રી પદનો પ્‍યાલો ઝૂંટવાઈ ગયો હતો. પરંતુ સરકારમાં તેમણે પોતાની હાક અને ધાક કાયમ રાખી હતી.
દમણમાં બે બે વખત પુલ ધ્‍વંસ્‍ત થવા છતાં શ્રી ડાહ્યાભાઈ પટેલનો વિજય થયો હતો. 16મી નવેમ્‍બર, 2005ના રોજ શ્રી અરૂણ માથુરની બદલી થઈ તેમના સ્‍થાને શ્રી વી.કે.સિંઘનું આગમન થયું હતું. પરંતુ શ્રી વી.કે.સિંઘ પોતાની ધરી ગોઠવી શકે તે પહેલાં જ માત્ર 7 મહિનામાં 26મી મે, 2006ના રોજ તેમની બદલી થઈ હતી. ત્‍યારબાદ પ્રદેશના વિકાસ આયુક્‍ત શ્રી ધર્મેન્‍દ્ર 1લી જૂન,2006 સુધી પ્રશાસકના પદે કાર્યરત રહ્યા હતા. ત્‍યારબાદ સંઘપ્રદેશના જૂના અને જાણીતા ખેલાડી શ્રી આર.કે.વર્માની 1લી જૂન, 2006ના રોજ પ્રશાસક પદે વરણી થઈ હતી.
શ્રી આર.કે.વર્માનો કાર્યકાળ સંઘપ્રદેશમાં ખુબ જ ખુશનુમા રહ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન જ લાંબા સમયથી પડતર જમીનના ઝોનિંગના કાર્યને પણ પૂર્ણ કરાયું હતું. જેમાં દમણ અને દાદરા નગર હવેલીથી ઘણાં લેન્‍ડ ડેવલપરો અને જમીનના માલિકોએ રાજકારણીઓની મિલીભગતમાં પોતાની જરૂરિયાત પ્રમાણે જમીનનું ઝોનિંગ કરાવવા સફળ રહ્યા હતા.
પ્રશાસક તરીકે શ્રી આર.કે.વર્મા ખુબ જ ખુશમિજાજી અને મળતાવડા હોવાના કારણે દમણ અને દાદરા નગર હવેલીની આબોહવાને અનુકૂળ આવી ગયા હતા. તેમણે તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકર અને શ્રી ફત્તેહસિંહ ચૌહાણને એક મંચ ઉપર લાવવા પણ કોશિષ કરી હતી. આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝના શ્રી સુરેન્‍દ્ર જીવરાજકા જોડેના પ્રશાસક સાથેના અત્‍યંત ગાઢ સંબંધો પણ નજરે પડયા હતા. તે વખતે દાદરા નગર હવેલીના ભૂમિહીન ખેડૂતો માટે ફાળવેલ પ્‍લોટનું પણ ઈન્‍ડસ્‍ટ્રીઝ, કોમર્શિયલ અને સેટલમેન્‍ટ ઝોનમાં ઝોનિંગ કરી ડેવલપરોએ કરોડો રૂપિયા ગજવે ઘાલી દીધા હતા. જેમાં આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝના સંચાલકો દ્વારા પણ મોટી મોટી જમીનો ખરીદવામાં આવી હતી.
દાદરા નગરહવેલીમાં થયેલા જમીન કૌભાંડની તપાસ થવાની સંપૂર્ણ સંભાવના છે અને ભૂમિહીન આદિવાસીઓને ખેતી કરવા માટે ફાળવેલ જમીનનું વેચાણ કઈ રીતે કરાયું તે પણ એક સંશોધનનો વિષય બન્‍યો છે.
બીજી બાજુ દમણ-દીવમાં પણ સાંસદ પુત્ર શ્રી કેતનભાઈ પટેલની રાજનીતિ પરવાને ચડી હતી. દમણ -દીવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અસલમ ખાનના નિધન બાદ કોંગ્રેસનો કબ્‍જો શ્રી કેતનભાઈ પટેલે સંભાળી લીધો હતો.
તે સમયે દમણ-દીવની રાજનીતિમાં શ્રી કેતનભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રી નવિનભાઈ પટેલ જેવાની બોલબાલા હતી. કોંગ્રેસને વિજયી બનાવવામાં મહત્‍વનું યોગદાન આપનાર શ્રીમતી તરૂણાબેન પટેલ અને શ્રી લાલુભાઈ પટેલ ધીરે ધીરે હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં હવે ભારતીય નવશક્‍તિ પાર્ટીના સ્‍થાને કોંગ્રેસ ઉપર કબ્‍જો જમાવવા મોહનભાઈ ડેલકર અને તેમના જૂથે સ્‍પર્ધા પણ શરૂ કરી હતી. (ક્રમશઃ)

Related posts

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment