(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 13: વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરાયા હતા. હાલમાં પાણી ઓસરતા આ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તેની જિલ્લા વહીવટી તંત્રેએ પુરતી તકેદારી રાખી સફાઈ કર્મચારીઓને કાફલો તૈનાત કરી દેવાયો છે. દિવસ રાત આ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ રહી છે.
વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા પુરને કારણે શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી વળતાં ઠેર ઠેર કીચડ અને કાદવનો ફેલાવો થયો છે. જેથી ચારેબાજુ ગંદકી ફેલાવાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં લઈ વલસાડ વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ વલસાડ પાલિકાની ૧૦ ટીમના ૮૬ કામદારો, સુરત મહાનગર પાલિકાની ટીમના ૫૫, વાપી પાલિકાના ૩૦ તેમજ પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકાના કુલ ૩૬ કામદારો સહિત ૨૦૭ કામદારો દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે.