સંગઠને બંને બાળકો સહિત તેમના પરિવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની આપેલી બાહેંધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના ઊંડાણના દૂધની ગામના બે બાળકો પોતાનું ભણતર છોડી રહી હોવાનો સંદેશ વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓને મળતા તેઓ તાત્કાલિક એમના પરિવારને મળ્યા હતા અને બન્ને બાળકોનું ભણતર તેમજ એમના પરિવારનો જરૂરિયાતનો ખર્ચ ઉઠાવવાની બાહેંધરી આપી હતી.
દૂધની ગામની સરકારી શાળાના પ્રિન્સિપાલ અને એકશિક્ષકનો વિશ્વ હિન્દુ પરિષદની ટીમને ફોન આવ્યો જેઓએ જણાવેલ કે કુ. અનીશાબેન કમલેશભાઈ કામડી ધોરણ દસમાં ભણતી છોકરી જે બિલધરી પટેલપાડા- દૂધની જેના પિતા હયાત નથી અને માતા સુનિતાબેન કામડી છેલ્લા ત્રણ વર્ષથી બીમારીના કારણે ખાટલા પર જ પડી રહે છે. જ્યારે નાનો ભાઈ નવમા ધોરણમાં ભણે છે. ઘરમાં ખાવા-પીવાનો સામાન પણ નથી અને માતાની સેવા પણ કરવી પડે છે, જેથી બાળકી સ્કૂલ છોડવા માંગે છે. જેવી આ ખબર મળતા વિશ્વ હિન્દુ પરિવારની ટીમ દૂધની સરકારી શાળામાં પહોંચી પ્રિન્સિપાલ અને શિક્ષક સાથે એ છોકરીના ઘરે જઈ ઘરની પરિસ્થિતિ જોઈ હતી તો ઘરમાં હાલમાં અનાજ કે અન્ય ખાવા-પીવાની કંઈ જ ચીજવસ્તુ નહીં હતી. જેથી તાત્કાલિક ટીમે ત્રણ ચાર મહિના ચાલે એટલું રાશન ભરી આપ્યું હતું અને રોકડ રકમ પણ આપવામાં આવી હતી અને જ્યાં સુધી બન્ને બાળક કમાવવા લાયક નહીં થાય ત્યાં સુધી તેઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી હતી. આ સરાહનીય કાર્યની શાળાના આચાર્ય અને શિક્ષકે પણ સરાહના કરી હતી. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના શ્રી પ્રશાંત પાટીલ, શ્રી સુનિલ મહાજન સહિત ટીમ ઉપસ્થિત રહ્યા હતા.