(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
સલવાવ, તા.23: સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાને બાળમૈત્રીપૂર્ણ અને હરિયાળી બનાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. એનઈપી-2020 માં દર્શાવ્યા મુજબ શાળાઓમાં પર્યાવરણ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પૂરતી સમજ મળે અને પ્રકળતિ સંવર્ધન માટે વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કાર્યો કરવામાં આવે તે હેતુસર આ વર્ષે ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત રાજ્યની તમામ સરકારી તેમજ અનુદાનિત તથા સ્વનિર્ભર શાળાઓમાં વૃક્ષારોપણ કરી તેમને હરિયાળી બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રયાસને સમર્થનમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીસ્કૂલ સલવાવ ગુજરાતી માધ્યમ દ્વારા તારીખ 22 જુલાઈ 2023ના રોજ શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ બોટનિક શિક્ષિકા નમ્રતાબેન ડાકેના નેજામાં વિદ્યાર્થીઓના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૃક્ષારોપણ સાથે વૃક્ષો/છોડના સ્થાનિક નામ, બોટનીકલ નામ તથા તેની ઉપયોગિતા વિશે બાળકોને માહિતગાર થાય અને સાંસ્કળતિક મહત્વ ધરાવતા, છાંયડો આપવાવાળા, આયુર્વેદિક ગુણધર્મોવાળા, ફળ/ફૂલ/શાકભાજીવાળા, વધારે ઓક્સિજન આપવાવાળા, ધ્વનિ પ્રદુષણ ઓછુ કરવાવાળા, જમીનનું ધોવાણ અટકાવવાવાળા, નાના જીવજંતુ પક્ષીઓને આકર્ષિત કરે તથા તેમને આશ્રય આપે તેવા વગેરે જેવા વૃક્ષો/છોડ અંગે સુંદર સમજ અપાઈ હતી.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂ.કપિલ સ્વામી, ડાયરેક્ટર ડૉ.શૈલેષ લુહાર, ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.