સમય સુચકતા વાપરી ચાલક કુદી પડતા બચાવ થયો : ટ્રકમાં નાસિકથી સુરત જતા ઘટેલી ઘટના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: કપરાડા-નાનાપોંઢા-નાસિક રોડ ઉપર જોગવેલ ગામ પાસે આજે બુધવારે સવારે 7 વાગ્યાના સુમારે ખાંડનો જથ્થો ભરીને નાસિકથી સુરત તરફ જતી ટ્રકામં અચાનક ભિષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ અફરાતફરી સાથે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી.
કપરાડા-નાનાપોંઢા-નાસિકને જોડતો હાઈવે માર્ગ જોગવેલ ગામ પાસે આજે સવારે ખાંડનો જથ્થો ભરી સુરત જતી ટ્રકમાં અચાનક જ ભિષણ આગ લાગી હતી. જોકે સતર્કતા દાખવી ચાલક સલામત રીતે બહાર નિકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના બાદ કલાકો સુધી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે નહી પહોંચતા ટ્રક બળીને ખાખ થઈ હતી. બીજી તરફ રોડ ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.સવારમાં બનેલી ઘટનાથી લોકોના ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.