નરોલી ગ્રામ પંચાયતમાં હવે તમામ સભ્યો ભાજપ સમર્થિત હોવાથી સર્વાનુમતે ગામના વિકાસ કામોને મળનારી પ્રાથમિકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 11 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલનું આકસ્મિક નિધન થતાં ખાલી પડેલા સરપંચ પદ માટે આજે પંચાયતના સભ્યો મારફત ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 11 ગ્રામ પંચાયત સભ્યોનું કદ ધરાવતી નરોલી ગ્રામ પંચાયતમાં હવે લગભગ તમામ સભ્યોએ આપેલા ભાજપના સમર્થન બાદ શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલના નામ ઉપર સરપંચ પદ માટે સહમતિ સાધવામાં આવી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરની અધ્યક્ષતામાં મળેલી ગ્રામ પંચાયતનીખાસ સામાન્ય સભામાં શ્રીમતી નયનાબેન પટેલને સરપંચ તરીકે બિરાજમાન કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સહિત ભાજપના પદાધિકારીઓ અને નરોલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઘોષિત થયેલા શ્રીમતી નયનાબેન પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગામના જે પણ વિકાસ કામો બાકી છે તે તમામ સૌના સાથ અને સહકારથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે સરપંચ બનાવવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર પણ પ્રગટ કર્યો હતો.