(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.31: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે હર્ષોલ્લાસથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. દીવ, પટેલ વાડી, વણાકબારા, ઘોઘલા એમ દરેક જલારામમંદિરની રંગબેરંગી સજાવટ કરવામાં આવી હતી. દરેક જલારામ મંદિરોમાં પૂજા અર્ચના, ભજન કિર્તન, મહાપ્રસાદ વગેરેનુ ભવ્ય આયોજન થયું, દીવ જલારામ મંદિર ખાતે અને પટેલવાડી જલારામ મંદિર ખાતે જલારામ ભક્તોએ કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી, તેજ રીતે ઘોઘલામાં શ્રી જલારામ બાપા સેવા સમિતિ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે સવારે ધજા આરોહન, પૂજા અર્ચના અને મહાપસાદ બાદ સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા ભજન કીર્તન સાથે નીકળી હતી જેમાં માટી સંખ્યામાં જલારામ ભક્તો તેમાં જોડાયા હતા. શોભા યાત્રા ઘોઘલાના મુખ્ય માર્ગથી પસાર થતા ઘોઘલા પંથક જલારામમય બની ગયું હતું.
સમગ્ર કાર્યક્રમ શ્રી જલારામ બાપા સેવા સમિતિના પ્રમુખ ભીમજી ગોવિંદ મોગરીની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતો, વણાકબારા ખાતે પણ જલારામ બાપાના જન્મ જયંતીની ઉજવણી થઈ. આ રીતે દીવ જિલ્લામાં આવેલ દરેક જલારામ મંદિર પર ભક્તોએ હર્ષોલ્લાસથી જલારામ જયંતીની ઉજવણી કરી.