નાની દમણ ખાતેના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સવારે 11 કલાકે આયોજીત કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલા, નાણા સચિવ ગૌરવ સિંહ રાજાવત, દમણના કલેક્ટર સૌરભ મિશ્રા સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘‘પરીક્ષા પે ચર્ચા” વિષય ઉપર વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રસારણને સાંભળવા હેતુ સવારે 11:00 વાગ્યે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ સાથે વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સહિત વિદ્યાર્થીઓ અને અન્ય અતિથિઓ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને સાંભળવામાં આવ્યું હતું. આ એક એવો કાર્યક્રમ છે જેમાં દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે પરીક્ષાઓ અને શાળાકીય જીવન સાથે સંબંધિત ચિંતાઓ બાબતે ચર્ચા કરે છે. બોર્ડ પરીક્ષા 2024 પહેલાં વિદ્યાર્થીઓમાં તણાવ હોવો સ્વાભાવિક છે. એવામાં ‘‘પરીક્ષા પે ચર્ચા” યુવાઓ માટે તણાવમુક્ત માહોલ તૈયાર કરવાની દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસ્ટ માર્ક્સ સ્કોર બનાવવા માટે ટિપ્સ આપે છે, તેઓને મોટિવેટ કરે છે અને તેમના સવાલોના જવાબ પણ આપે છે.જેની કડીમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કાર્યક્રમના અંતમાં શાળાના વિદ્યાર્થીઓને ‘એક્ઝામ વોરિસર્ય’ ભેટ કરી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, માહિતી અને પ્રચાર વિભાગના સચિવ શ્રી એસ.અસકર અલી, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રજનીબેન શેટ્ટી સહિત જન પ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યાદ રહે કે, ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. ત્યારબાદથી દર વર્ષે ક્યારેક ઓનલાઈન મોડમાં તો ક્યારેક ઓફલાઈન મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.