સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાતમાં ગામના સર્વગ્રાહી વિકાસની આપેલી સમજણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 07 : નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં ડેલકર જૂથના જનતા દળ (યુ) અને શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્યોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા સમસ્ત નરોલી ગ્રામ પંચાયતમાં હવે ફક્ત ભાજપનો ઝંડો જ લહેરાવા લાગ્યોછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક સમયે ડેલકર પરિવારના ખાસ સમર્થક રહેલા નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ, પંચાયત સભ્ય શ્રીમતી પૂર્વી ગૌતમસિંહ ગોહિલ સહિત તમામ સભ્યોએ પંચાયતના સર્વાંગી વિકાસ માટે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
આજે સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્વમાં નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ શ્રીમતી પ્રીતિબેન દોડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશસિંહ સોલંકી, અનુ.જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી નૈમિતા માર્ગે, પૂર્વ સભ્ય રંજન સોલંકી, ઉજ્જવલ સોલંકી, કિસાન મોર્ચાના શ્રી રાજુભાઈ સહિત ગ્રામ પંચાયતના સક્રિય સભ્યો સામેલ હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની અત્યંત વ્યસ્તતા વચ્ચે સમય ફાળવી નરોલી ગ્રામ પંચાયતની નાનામાં નાની વાતોની કાળજી રાખી સર્વગ્રાહી વિકાસ કેવી રીતે કરવો તેની સમજ આપી હતી. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિતના નવાંગતુક સભ્યો પ્રશાસકશ્રીનીદરેક ગામના વિકાસ પ્રત્યેની અંગત લાગણી અને તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોથી ખુબ જ પ્રભાવિત થયા હતા.