સેલવાસ ન.પા.ના કાઉન્સિલર સુમનભાઈ પટેલ અને વાઘછીપાના સભ્ય પ્રવિણભાઈ પટેલની રજૂઆત બાદ કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે લીધેલી સ્થળની મુલાકાતઃ સમસ્ત દાનહના મુખ્ય રસ્તાઓની કાયાપલટનું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 08 : દાદરા નગર હવેલીના વાઘછીપા ગામનો મુખ્ય રોડ જે ચોમાસા અગાઉથી જ જર્જરિત હતો અને મોટા મોટા ખાડાઓ પડેલા હતા, જે સંદર્ભે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાંપણ તેનો યોગ્ય ઉકેલ કાઢવામાં આવ્યો ન હતો. તેથી ફરી સેલવાસ નગરપાલિકાના સભ્ય શ્રી સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયતના વાઘછીપાના સભ્ય શ્રી પ્રવિણભાઈ પટેલ ઉર્ફે લાલાએ વાઘછીપા ગામના જર્જરિત રસ્તાનું તાત્કાલિક ધોરણે નવીનિકરણ કરવા માટે કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેના અનુસંધાનમાં કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવત અને એમની પૂરી ટીમ, જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ સાથે મળીને વાઘછીપાના ખખડધજ રસ્તાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરશ્રીએ વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદદાદરા અને નગર હવેલીના અન્ય ખરાબ રસ્તાઓ જેમકે રખોલી, સાયલી અને મસાટના રસ્તાઓની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ તમામ રસ્તાઓ બનાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.