માહ્યાવંશી વિકાસ મંચના 22મા સ્થાપના દિવસની આનંદ ઉત્સાહ અને ઉમંગથી કરાયેલી ઉજવણી
-
મહારાષ્ટ્ર-મુંબઈના ઉંબરે નિર્માણાધિન ભવન ફક્ત માહ્યાવંશી સમાજ માટે જ નહીં, પરંતુ સર્વ સમાજ માટે આશીર્વાદરૂપ બનશેઃ મનહરભાઈ પટેલ-મેનેજીંગ ટ્રસ્ટી
-
માહ્યાવંશી વિકાસ મંચના પ્રણેતા અને સ્વપ્નદૃષ્ટા મનહરભાઈ પટેલના દૂરંદેશી અભિગમ અને દરેકને જોડીને રાખવાની ત્રેવડના નેતૃત્વની તમામ વક્તાઓએ કરેલી ભરપેટ પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : માહ્યાવંશી વિકાસ મંચ સમગ્ર ભારતના 22મા સ્થાપના દિવસની ઉજવણી નિર્માણાધિન ભવન-અતિથિ ગૃહ ચાણક્ય નગરી સહ્યાદ્રી હોટલની સામે કાજલી ગામ, તાલુકા તલાસરી મહારાષ્ટ્ર ખાતે ખુબ જ આનંદ, ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ, દાદરા નગર હવેલી તથા સમસ્ત ભારતથી માહ્યાવંશી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ સમિતિના ચેરમેન શ્રી જીતુભાઈસુરતી(રાજગરી)એ શોભાવ્યું હતું.
માહ્યાવંશી વિકાસ મંચના 22મા જન્મ દિવસ નિમિત્તે માય સ્ટેમ્પ એમ.વી.એમ.ના લોગોવાળી રૂા. પાંચ વાળી પોસ્ટ ટિટિક પણ શ્રી ઉમેશભાઈ માહ્યાવંશી પોસ્ટ માસ્ટર દ્વારા બનાવવામાં આવી હતી. જેનું અનાવરણ પણ આ સમારંભમાં કરવામાં આવ્યું હતું.
માહ્યાવંશી વિકાસ મંચના સ્વપ્નદૃષ્ટા અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલે પોતાની ભાવવાહી છટામાં મહારાષ્ટ્ર-મુંબઈના ઉંબરે નિર્માણ પામેલા માહ્યાવંશી વિકાસ મંચના અતિથિ ગૃહનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આ ભવન ફક્ત માહ્યાવંશી સમાજ માટે જ નહીં પરંતુ સર્વ સમાજ માટે આશીર્વાદરૂપ બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી મનહરભાઈ પટેલે સમાજના દાતાઓને તેમની ઉદારતા બદલ અભિનંદન પાઠવી તેમનું સન્માન પણ કર્યું હતું. તેમણે શેર અને સાયરીઓ સાથે પોતાની વાતને રજૂ કરતા જણાવ્યું હતું કે, માનવ શરીરનો કોઈ ભરોસો નથી. પરંતુ સારા કર્મોની યાદ જ હંમેશા ચિરંજીવ રહેતી હોય છે. તેથી તેમણે ભવનના નિર્માણમાં ઉદાર હાથે ફાળો આપવા પણ અપીલ કરી હતી. તેઓએ કોરોના કાળમાં મૃત્યુને ભેટેલા પોતાના કેટલાક સાથીઓને યાદ કરતા આખું વાતાવરણ સંવેદનશીલ બની ગયું હતું.
પ્રારંભમાં એડવોકેટ શ્રી પ્રકાશભાઈ પટેલે સ્વાગત વક્તવ્ય રજૂ કર્યુંહતું. ગુજરાત સરકારના નિવૃત્ત આર.ટી.ઓ. શ્રી મહેશભાઈ ભારતી, દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ એફ. દમણિયા, માહ્યાવંશી વિકાસ મંચના ટ્રસ્ટી અને દમણના પૂર્વ એક્સાઈઝ ઈન્સ્પેક્ટર શ્રી રમેશભાઈ માહ્યાવંશી, પ્રોફેસર જયંતભાઈ પટેલ, માહ્યાવંશી વિકાસ મંચના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પરમાર, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
તમામ વક્તાઓએ માહ્યાવંશી વિકાસ મંચના મેનેજીંગ ટ્રસ્ટી અને કાબેલ વહીવટકર્તા શ્રી મનહરભાઈ પટેલના દૂરંદેશી અભિગમ અને દરેકને જોડીને રાખવાની ત્રેવડની ભરપેટ પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ભવનના આર્કિટેક્ટ એન્જિનિયર શ્રી નિલકુમાર મહેશભાઈ મિષાીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માહ્યાવંશી વિકાસ મંચના એકમાત્ર મહિલા ટ્રસ્ટી શ્રીમતી કલ્પનાબેન મિષાી સહિત બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી શ્રી જીતુભાઈ સુરતીએ માહ્યાવંશી વિકાસ મંચ માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. આભારવિધિ એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલે આટોપી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ પટેલે સંભાળ્યું હતું.