(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અજીબો ગરીબ ફેરફાર વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક વરસાદ વાવાઝોડા વાઈ રહ્યા છે. જોકે હવામાન ખાતાની વાતાવરણમાં ફેરફાર થવાની આગાહી કરેલી જ છે. કંઈક તેવી સીધી અસર આજે સોમવારે કપરાડા વિસ્તારના ગિરનારા ગામે સીધી જોવા મળી હતી. વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. જેમાં અનેક મકાનોના છાપરા-પતરા ઉડયા હતા તેથી તબાહી મચી જવા પામી હતી.
કપરાડાના ગિરનારા ગામે આજે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. જેથી ગામમાં બદલાયેલા વાતાવરણે ઠેર ઠેર તબાહી મચાવી દીધી હતી. કેટલાક ઘરના છાપરા-પતરા ઉડયા હતા. સામાન્ય અને ગરીબ પરિવારો ધરાવતા આ ગામમાં વાવાઝોડાએ તબાહી સર્જી દીધી હતી. પતરા તો ઠીક પણ સ્ટીલના સ્ટ્રક્ચર, પંખા પણ છત ઉપરથી પડી ગયા હતા. વાવાઝોડાની અસર ગિરનારા આશ્રમ શાળા ઉપર વધુ થઈ હતી. સદનસીબે વેકેશન હોવાથી બાળકો હાજર નહોતા નહીતર મોટું નુકશાન થતું તે અટક્યું હતું. ગરીબ પરિવારો ઉપર આવી પડેલી કુદરતી આફતને સામે લોકોની માંગણી કે સરકારકંઈ આર્થિક સહાય કરે. હજુ બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં ફેરફારો જોવા મળશે.