તા.11મી ઓક્ટોબરના રોજ વલસાડ ડીએસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી પોલીસ બેન્ડ સાથે પદયાત્રા નીકળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર, 2001ના દિવસે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરાવી હતી. તેઓના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડી તા.07મીથી 15મી ઓક્ટોબર-2024 સુધી ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરાશે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત તા.11 ઓક્ટોબરના રોજ યોજાનાર વિકાસ પદયાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લામાં ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણી તા.15 ઓક્ટોબર સુધી અલગ-અલગ થીમ આધારિત થઈ રહી છે. ત્યારે તા.11 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીથી મોઘાભાઈ હોલ સુધી વિકાસ પદયાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જે અંગે કલેકટરશ્રીએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, આ વિકાસ પદ યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ઘોડેસવાર અને બાઈકર્સ પોલીસ જવાનો પણ જોડાશે. આ પદયાત્રા સંગીતના સૂરતાલ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થશે. મોઘાભાઈ હોલ ખાતે પદયાત્રા પૂર્ણ થયા બાદ મોઘાભાઈ હોલમાં જ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રજાલક્ષી વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જેમાં વિકાસ કાર્યોની ઈ-તકતી અનાવરણ કરાશે. આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં જિલ્લા અને તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સક્રિય રીતે સહભાગી બને તેવી અપીલ કરી કાર્યક્રમ સુપેરે પારપડે તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા જ્હા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.