(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: મોબાઈલના દોરમાં પુસ્તકથી વિમુખ થતી આજની પેઢીને પુસ્તક વાંચન તરફ અને ગુજરાતી ભાષા માટે જાગૃત તથા પ્રેરિત કરવા માટે પુસ્તક પરબ કિલ્લા પારડી દ્વારા સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. દર માસના પ્રથમ રવિવારે કિલ્લાપારડીમાં કિંજલ પંડયાના નેતૃત્વમાં પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક પુસ્તકો સાથે 1500 થી 1800 જેટલા રસપ્રદ પુસ્તકોના મેળાનું આયોજન કરવામાં આવે છે.
પુસ્તક પરબ મેળાની શરૂઆત થયાને એક વર્ષ પૂર્ણ થતા પુસ્તક પરબ કિલ્લા પારડી દ્વારા આગામી તારીખ 02-4-2023 રવિવારનાં રોજ ધીરૂભાઈ સત્સંગ હોલ, જુની મામલતદાર ઓફિસની બાજુમાં ને.હા.નં. 48 ખાતે વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.
પુસ્તક પરબના વાર્ષિક સમારોહમાં વક્તા અને લેખક અંકિત દેસાઈની ખાસ ઉપસ્થિતિ રહેશે. પુસ્તક પરબના વાર્ષિક સમારોહમાં સૌ વાંચન પ્રેમીઓ, સાહિત્ય રસીકો અને વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે આયોજક કિંજલ પંડયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.