Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

સમય પર નિદાન અને નિયમિત સારવારથી ૧૧૬૭૭ દર્દી સંપૂર્ણ સાજા થઈ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે

યુવા વર્ગને ટીબીનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે, ૧૫ થી ૩૦ વર્ષની વયમાં ૫૭૧૨ દર્દી નોંધાયા

નિક્ષય મિત્ર યોજના હેઠળ ૩૨ નિક્ષય મિત્રોએ ૪૪૮ દર્દીને દત્તક લઈ માનવતાના દર્શન કરાવ્યા

જિલ્લામાં ટીબીના સૌથી વધુ દર્દી વલસાડમાં ૪૬૬૬ અને સૌથી ઓછા ૮૮૧ કપરાડામાં નોંધાયા

દર્દીની તપાસ માટે વલસાડ, પારડી અને ધરમપુરમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીનો ફાળવાયા

(ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્યુપઝ નેટવર્ક)

વલસાડ, તા.23: “ટીબી હારેગા, દેશ જીતેગાનો નારો” માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુંજી રહ્યો છે. ટીબી (ક્ષય) એક ચેપી રોગ છે. જે માઈક્રેકટેરીયમ ટયુબરક્યુલોસીસ નામના બેકટેરીયાથી થાય છે. ટીબી સામાન્યતઃ ફેફસા પર અસર કરે છે. ટીબીનો દર્દી જ્યારે ઉધરસ કે છીંક ખાય ત્યારે હવામાં લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરીયા બહાર નીકળે છે જે અન્ય વ્યકિતના સંપર્કમાં આવતા ચેપ લાગે છે. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો છેલ્લા ૫ વર્ષમાં ૧૩,૮૬૮ દર્દી ટીબીની બિમારીમાં સપડાયા હતા પરંતુ સમયસર અને નિયમિત સારવાર લઈ ૧૧,૬૭૭ દર્દી સંપૂર્ણ સાજા થઈ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. જ્યારે ૪૫૦ દર્દીના મૃત્યુ થયા હતા. ટીબીની સૌથી વધુ અસર ૧૫ થી ૩૦ વર્ષની વયના લોકોમાં જોવા મળી છે. ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને નિક્ષય પોષણ યોજના કારગત નીવડી છે. જે અંતર્ગત જિલ્લામાં ૩૨ નિક્ષય મિત્ર નોંધાયા છે કે જેમણે ૪૪૮ દર્દીને દત્તક લઈ તેમને સાજા થવામાં મદદરૂપ થઈ માનવતાના દર્શન કરાવ્યા છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટીબીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાં જડમૂળથી નાબૂદ કરવા માટે લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. ટીબી સામેની લડત એ માટે માત્ર સરકાર પૂરતી જ સીમિત નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે કારણ કે, ટીબીનો એક દર્દી જો સારવાર નહીં લે તો વર્ષમાં ૧૫ થી ૨૦ તંદુરસ્ત વ્યક્તિને ચેપ લગાડી શકે છે. એટલા માટે જ આવા દર્દીને શોધીને સારવાર આપવી ખૂબ જરૂરી છે. ટીબીના દર્દીની સારવાર ૬ માસ સુધી તથા તેના સંપર્કમાં રહેતા દરેક સભ્યોને ટીબી ન થાય તે માટે પ્રિવેન્ટીવ થેરાપીની સારવાર પણ ૬ માસ સુધી આપવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને એચ.આઈ.વી વાળા લોકો માટે ક્ષય રોગ ખતરનાક છે. તેમને તાત્કાલિક દવા આપવી અનિવાર્ય છે. વલસાડ જિલ્લામાં જ છેલ્લા ૫ વર્ષમાં ૧ થી ૧૪ વર્ષ સુધીના ટીબીના ૫૯૫ બાળ દર્દી જોવા મળ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં ટીબીના સૌથી વધુ દર્દી વલસાડ તાલુકામાં ૪૬૬૬ અને સૌથી ઓછા ૮૮૧ દર્દી કપરાડા તાલુકામાં નોંધાયા છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા નિક્ષય મિત્ર બનાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. જે અંતર્ગત ટીબીના દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી અનાજની કીટ આપવામાં આવે છે. નિક્ષય મિત્ર પોતાના દત્તક દર્દીને આ કીટ ઉપલબ્ધ કરાવી શકે છે. નિક્ષય મિત્ર બનવુ સરળ છે. જે માટે www.nikshay.in પર પોતાની નોંધણી કરીને જાતે નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીને નવુ જીવન આપવામાં મદદરૂપ થઈ શકે છે.
જિલ્લા ક્ષય અધિકારી ડો.એચ.પી.સિંગે જણાવ્યું કે, ટીબીનો રોગ હવાથી ફેલાય છે. હાથ મીલાવવાથી, ટોઈલેટ સીટ પર બેસવાથી કે ક્ષય રોગના દર્દી સાથે એક થાળીમાં જમવાથી કે તેણ વાપરેલી થાળીનો ઉપયોગ કરવાથી ટીબીનો ચેપ લાગતો નથી. ટીબીના રોગનું નિદાન અને સંપૂર્ણ સારવાર મફતમાં થાય છે. વહેલુ નિદાન અને નિયમિત સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે. નેશનલ ટીબી એલિમીનેશન પ્રોગ્રામ હેઠળ હાલ વલસાડ જિલ્લામાં ૭૬ જગ્યાએ ગળફાની તપાસ માઈક્રોસ્કોપ દ્વારા થાય છે. ગળફાની વધુ તપાસ માટે ધરમપુર સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર, વલસાડ નગરપાલિકા હોસ્પિટલ અને પારડીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન ટેકનોલોજી વાળા મશીન ઉપલબ્ધ છે. ચાલુ વર્ષ ૨૦૨૩માં આજદિન સુધીમાં જિલ્લામાં ૬૪૭ દર્દી નોંધાયા છે. જે પૈકી ૬૮ દર્દીને હાલમાં નવી શોધાયેલી દવા વડે ૯ થી ૧૧ માસ કે ૧૮ થી ૨૦ માસ સુધી સારવાર આપવામાં આવી રહી છે.

સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય

૧) નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીની સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂ. 500 દર્દીના બેંક ખાતામાં ચૂકવાય છે. જો દર્દી ટ્રાયબલ વિસ્તારમાંથી આવે તો તેને પ્રથમ વાર ટ્રાવેલ એલાઉન્સ તરીકે રૂ. ૭૫૦ પણ મળે છે. વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા અને ઉમરગામના દર્દીઓને આ લાભ મળી રહ્યો છે.
૨) જો કોઈ વ્યક્તિ કોઈ દર્દીને સારવાર આપવામાં મદદરૂપ બને એટલે કે, ટીબીના દર્દીને રૂબરૂમાં જ પ્રત્યક્ષ દવા ગળાવવાની કામગીરી પોતાની સ્વેચ્છાથી કરે તેને ડોટ્સ કહેવાય છે. ડોટ્સ તરીકે ડોક્ટર, કંપાઉન્ડર, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર, દાયણબેન, ગ્રામ મિત્ર, સ્વંયસેવક, ટીબીના સાજા થયેલા દર્દી અથવા તો અન્ય સેવાભાવી વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમને ડોટ્સ પ્રોવાઈડર તરીકેની કામગીરી બદલ રૂ. 1 હજાર થી રૂ. 3 હજાર સુધીની રકમ મહેનતાણા પેટે ચૂકવાઈ છે.
૩) પ્રાઈવેટ પ્રેક્ટીશનર્સ અને કેમિસ્ટ માટે ટીબીના દર્દીની નોંધણી ફરજિયાત છે. જે માટે તેઓને નોંધણી પેટે રૂ. 500 અને સારવાર પુરી થયેથી જાણ કરવા માટે ફરી રૂ. 500 આપવામાં આવે છે.

આ લક્ષણો હોય તો ચેતી જજો, તાત્કાલિક સારવાર કરાવો

જો તમને અઠવાડીયાથી ખાંસી (ઉધરસ) આવતી હોય, શરીરમાં ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કયારેક ગળફામાંથી લોહી પડે અથવા લોહીની ઉલટી થાય એવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં ફ્રીમાં તપાસ કરાવી શકો છો.

છેલ્લા 5 વર્ષમાં તાલુકા દીઠ નોંધાયેલા દર્દીઓ

ટીબીના દર્દીની સંખ્યા અને મૃત્યુઆંક

ઉંમર પ્રમાણે ટીબીના દર્દીઓની સંખ્યા

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

Leave a Comment