-
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલની નિમણૂક કરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર કરેલો ખુબ મોટો ઉપકાર
-
કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન પોતે ગાડી ડ્રાઈવ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વિવિધ કરિયાણાની દુકાનો મેડિકલ સ્ટોર્સ તથા શાકભાજી વિક્રેતાઓની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું કર્યું હતું નિરીક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચિત દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતના પગલે લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ પેદા થયો છે. કારણ કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ છેલ્લા 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને પોતાની કલ્પના બહારનું મળ્યું છે. પ્રદેશના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, પ્રવાસન જેવા વિકાસની સાથે માળખાગતસુવિધામાં પણ અનેકગણો વધારો થયો છે. તેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણ ચૂકતે કરવા પ્રદેશના લોકો થનગની રહ્યા છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી નિમણૂક પાછળ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ આશીર્વાદ રહ્યા છે અને શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રશાસક તરીકેના અત્યાર સુધીના 6 વર્ષના કાર્યકાળમાં પ્રદેશનો દરેક ક્ષેત્રે થયેલો વિકાસ સૌની નજર સમક્ષ છે.
સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર કોરોના મહામારી સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા લોકડાઉન દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવનો એક પણ વ્યક્તિ ભૂખો નહીં સુએ તેની ચિંતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમે કરી હતી. લોકડાઉન દરમિયાન પોતે ગાડી ચલાવી શાકભાજી માર્કેટ અને મેડિકલ સ્ટોરોની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદેશમાં લોકડાઉન દરમિયાન અનાજનો જથ્થો ઘટે નહીં, તમામ મેડિકલ સ્ટોરમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર વ્યાજબી કિંમતે પુરતા પ્રમાણમાં મળી રહે તેની કાળજી પણ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે લીધી હતી. કોરોના લોકડાઉન દરમિયાન સંઘપ્રદેશ પ્રશાસને દાનહ અને દમણ-દીવના 65 હજાર જેટલા જરૂરિયાતમંદોને એક સાથે 3 મહિના ચાલે એટલું રાશન આપ્યું હતું અને તે સમયેતાત્કાલિક પ્રદેશની 6500થી વધુ ચાલોમાં આરોગ્યની તપાસ તથા તમામ ઘરોમાં મફત સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે તે સમયની ખાસ જરૂરિયાત હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે ખુબ જ અસરકારક રીતે કોરોના મહામારી સામે લડત આપી હતી. જેની પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કર્મઠ અભિગમનો વિશેષ ફાળો રહ્યો છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પેદા થયેલી કોઈપણ કટોકટીના સમયે અત્યાર સુધી એક પણ આઈ.એ.એસ. અધિકારી પોતાની ગાડી પોતે હંકારીને ઘટના સ્થળે પહોંચ્યો હોય એવી ઘટના હજુ સુધી ધ્યાનમાં આવી નથી. જ્યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન 25મી માર્ચ 2020ના રોજ દમણની વિવિધ કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને શાકભાજી વિક્રેતાઓની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઘરની બહાર ફરવા નિકળેલા લોકોને બે હાથ જોડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 દિવસના આપેલા લોકડાઉનમાં પોતાના ઘરમાં રહેવા તથા પ્રશાસક દ્વારા જારી કરેલ દિશા-નિર્દેશોનું પાલન કરવા પણ તાકિદ કરી હતી. શું આવી ચિંતા કોઈ સનદી અધિકારી કરી શકે ખરા?
સોમવારનું સત્ય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સેલવાસની નમો મેડિકલ કોલેજના ભૂમિ પૂજન-શિલાન્યાસ દરમિયાન જાહેર મંચ ઉપરથી કહી ગયા હતા કે, આ કોલેજનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ. જે સમગ્ર પ્રદેશ માટે ગૌરવાન્વિત ઘટના સંભવતઃ 30મી નવેમ્બરના રોજ આકાર લેવા જઈ રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મેડિકલ કોલેજ સહિત અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે.