સોમનાથ જંક્શનથી કચીગામ ચાર રસ્તા સુધીના રસ્તાનું કરવામાં આવી રહેલું નવનિર્માણ કાર્યઃ તમામ વાહનચાલકો-પ્રવાસીઓને કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : કચીગામ ચાર રસ્તાથી સોમનાથ જંક્શન સુધી સડક નિર્માણના કાર્યનો આરંભ થઈ રહ્યો હોવાથી આજથી લઈને આગામીતા.13મી ઓક્ટોબર, 2024 સુધી કચીગામ-સોમનાથ રોડને એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ નાગરિકો અને વાહનચાલકોને સૂચિત કરવામાં આવે છે કે, કચીગામ ચારરસ્તાથી લઈને સોમનાથ જંક્શન સુધીના રસ્તાના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે આ રોડને ટૂંકાગાળા કામચલાઉ રૂપે એકમાર્ગીય(વન વે) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ સૂચિત કરવામાં આવે છે કે, આ માર્ગ ઉપર વાહનોને પાર્કિંગ કરવા કે થોભાવવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ નિર્ણય પ્રવાસીઓ અને નિર્માણ કાર્યમાં સંકળાયેલા કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનું એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર (મુખ્યાલય) શ્રી રાહુલ દેવ બુરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, વાહનવ્યવહારને સરળ બનાવી રાખવા માટે નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે.