-
પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી પ્રદેશમાં કલ્પના બહારના થયેલા વિકાસના કામોઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
સેલવાસના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડીટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમમાં 2000 કરતા વધુ બુદ્ધિજીવીઓ, લોક પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, હોટેલરિયનો સહિત સમાજના આગેવાનોની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સેલવાસ ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનીસૂચિત સંઘપ્રદેશની મુલાકાતના સંદર્ભમાં તૈયારીની રૂપરેખા જાણવા અને સમજવા એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ, પૂર્વ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયત સભ્યો, ન.પા. પ્રમુખ અને કાઉન્સિલરો, સરપંચો, વકિલો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, હોટેલરિયનો સહિત મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ તથા સમાજ સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના વિશાળ ઓડિટોરિયમમાં ઉપસ્થિત 2000 કરતા વધુ જનમેદની પૈકી કેટલાક લોકો પાસે પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટેની તૈયારીના મુદ્દે સૂચનો માંગ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રધાનમંત્રીશ્રીની આ છ વર્ષમાં પાંચમી મુલાકાત છે. પ્રધાનમંત્રી કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચ વખત મુલાકાત માટે આવે તેવો આ પ્રથમ સંઘપ્રદેશ છે. જે પ્રધાનમંત્રીશ્રીનો પ્રદેશના નાગરિકો પ્રત્યેનો ભાવ અને તેમની ચિંતાનું જીવતુ-જાગતુ દૃષ્ટાંત છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી પ્રદેશમાં આપણી કલ્પના પણ નહીં હતી એવા કામ થયા છે. કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. ત્યારે આવખતે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે આપણો હેતુ પણ બદલાયો છે. હવે માંગણી કરતા પણ અનેકગણું આપી દીધું છે ત્યારે આપણે પ્રધાનમંત્રીનો ઋણ સ્વીકાર કરવાનો અને તેમનો આભાર પ્રગટ કરવાનો અવસર આપણને મળી રહ્યો છે. તેથી પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને યાદગાર બનાવવા એક ઉત્સવનું સ્વરૂપ આપવા તેમણે પોતાનું સૂચન રજૂ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ઘરે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના આગલા દિવસે રાત્રિએ પાંચ દિવડા પ્રગટાવવા, રંગોળી કરવા અને મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવા પણ વિનંતી કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રીના આગમનના દિવસે સવારે પ્રભાતફેરીનું આયોજન કરવા પણ પોતાનું સૂચન રજૂ કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીના હેલીપેડથી સભા સ્થળ સુધીના માર્ગ ઉપર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રહેતા વિવિધ રાજ્યોના લોકો પોતાની વેશભૂષા સાથે પોતાના પ્રદેશની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવા તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ ઉપર પુષ્પવર્ષા જેવા કાર્યક્રમો બાબતે પોતાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.
પ્રારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના આયોજન માટેજ્યારે 2000 કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે કાર્યક્રમ કેટલો ભવ્ય થશે તેની ઝલક પણ જોવા મળે છે. તેમણે કાર્યક્રમમાં બે લાખ કરતાં વધુ લોકોની ઉપસ્થિતિનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની મુલાકાત દરમિયાન દેવકા બીચ રોડનું લોકાર્પણ પણ કરવાના હોવાની જાણકારી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આપી હતી. પ્રધાનમંત્રી શ્રી દેવકા બીચ રોડ ખાતે રોડ શો પણ કરી શકે એવી માહિતી પણ આપવામાં આવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત લગભગ 30મી નવેમ્બરના રોજ યોજાવાની હોવાની પણ માહિતી આપી હતી.
પ્રારંભમાં દાનહના કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવતે સ્વાગત વક્તવ્ય કર્યું હતું અને આભારવિધિ ખાનવેલના આરડીસી શ્રી કિશોરે આટોપી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહ જિ.પં.ના અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવર, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તથા વકિલો અને ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. ટી.પી.ચૌહાણ અને શ્રી કૌશિલ શાહની ઉપસ્થિતિ ખાસ ધ્યાનાકર્ષક રહી હતી.