ઉમરગામ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર માટી ખનન અને નિયમના ધજીયા ઉડાવી વહન કરતાં વાહનો સામે ઠોસ પગલા ભરવાની આવશ્યકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે આજરોજ આરટીઓ અધિકારીઓએ બે વાહન સામે નિયમનું ઉલ્લંઘન કરી વહન કરતા હોવાથી કાર્યવાહી હાથ ધરી છે. સંજાણ તરફથી મલાવ તરફ આવી રહેલી બે ટ્રક ઉપર એનએચઆઈ (નેશનલ હાઈવે ઓથોરિટી)નું બોર્ડ મારેલું હતું. જેને આંતરી તપાસ કરતા ટેક્સ, પરમીટ,ઈન્સ્યોરન્સ જેવા કાગળો ઉપલબ્ધ ન હતા.
ઉમરગામ તાલુકામાં રોડ અને બ્રિજ સહિતના સરકારી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અને સાથે સાથે ઠેર ઠેર પ્રાઈવેટ ડેવલપમેન્ટ પણ થઈ રહ્યા છે. આ કામગીરીમાં માટીપુરાણ અને પથ્થર કપચી વગેરેની મોટા પ્રમાણમાં જરૂરત પડી રહી છે. માટીનું ખોદકામ અને પુરાણના સ્થળેથી વહન કરતા મોટાભાગના વાહનો નિયમનું ઉલ્લંઘન કરીને ચાલી રહ્યા છે જેમની સામે પગલ ભરવાની આવશ્યકતા જણાઈ રહી છે.