(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મ દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર બેડપાના મૂળગામ ખાતે 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા આજે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સ પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર મહારાજ અને એમની ટીમે બાળકોને 108 એમ્બ્યુલન્સની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી હતી. સાથે કોઈક ઈમરજન્સી આવે ત્યારે કેવી રીતે કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી શકાય તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો સાથે કેક કાપી રમકડાં અને અભ્યાસમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે આશ્રમના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.