12.પ કિમી અને 2પ કિમીની મેરેથોનમાં 300 લોકો ડુંગર ઉપર દોડયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડના રેસર્સ ગૃપ દ્વારા તા. 25 ડિસેમ્બરને રવિવારે બીજી વખત ધરમપુર તાલુકાના વિલ્સનહીલના ડુંગર પર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12.5 અને 25 કિમીની બે કેટેગરી રાખવામાં આવી હતી. 300 દોડવીરોએ આમેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મેરેથોનમાં વલસાડ, વાપી, નવસારી અને સુરતથી દોડવીરો આવ્યા હતા. કેન્યાથી પણ એક દોડવીર આ વિલ્સનહિલ રનમાં જોડાયા હતા, જે આ મેરેથોનનું આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મેરેથોનના ડાયરેક્ટર આશિષ કાપડિયા દ્વારા મેરેથોનને લગતી તમામ માહિતી અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તરફથી ફલેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ રેસર્સના વોલિયેન્ટર તેમજ તેના ગામના સ્થાનિક વોલિયેન્ટર તરફથી સહકાર મળ્યો હતો. આ મેરેથોનમાં દરેક દોઢ કિલોમીટરના અંતરે હાઈડ્રેશન પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા હતા. જેથી રનર મિત્રોને કોઈપણ તકલીફ ના પડે એની કાળજી લેવાઈ હતી. વલસાડ રેસર્સ દ્વારા મેરેથોન રોડ પર બે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સતત 25 કિમીના રૂટ ઉપર તૈનાત હતી. રનર મિત્રોને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.