-
આમ આદમી પાર્ટી વલસાડ બેઠકના ઉમેદવાર રાજુભાઈ મરચા માટે ચૂંટણી પ્રચાર કર્યો
-
તમારો ભાઈ બનીને હું તમારી પાસે બસ એક મોકો માંગી રહ્યો છું, તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપીને જુઓ : અરવિંદ કેજરીવાલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ શહેરમાં આજે બુધવારે બપોરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચારનો રોડ શો યોજાયો હતો. આમ આદમી પાર્ટી વલસાડ બેઠકના આપનાઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા) માટે કેજરીવાલે ખુલ્લી ગાડીમાં શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી આકારે ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂક્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્લીમાં અમે એટલી શાનદાર સરકારીશાળાઓ બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકો પોતાનાં નામ નિકાળીને સરકારી શાળાઓમાં એડમિશન લઇ રહ્યા છે. દિલ્લીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબો અને અમીરોનાં બાળકો સાથે અભ્યાસ કરે છે.
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ.
તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 1000000 સરકારી નોકરીની વ્યવસ્થાકરશે.
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને કયારેય નહીં કહું કે હું તમને રૂા. 15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.
27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હુંતમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.