અનઅધિકૃત બિયારણ વેચાતુ હોય તો તુરંત સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને જાણ કરવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે કાળજી રાખવા માટે જિલ્લા નાયબ ખેતી નિયામક(વિ.)એ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેતરપીંડીથી બચવા માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદ્યુ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલી તો નથી ને તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કોઈ પણ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), વલસાડને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલુ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.