-
ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ ઉપર નજર માંડશો તો કારણની સમજ પડી જશે
-
સમાજના દરેક સ્તરના લોકોનું જીવન-ધોરણ ઊંચું આવે, પારદર્શક અને ગતિશીલ પ્રશાસન મળે, ભારત સરકારની વિવિધ યોજનાઓના સફળ કાર્યાન્વયની મોદી સરકારની રહેલી ખાસિયત મત આપવા માટે આકર્ષે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ એવું થતું હશે કે લોકો ભાજપને જ શા માટે મત આપે છે?
દેશની આઝાદી બાદ ભારત દેશ અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ સત્તાની બાગડોર સંભાળી છે અને કેટલાકરાજ્યોમાં સંભાળી પણ રહ્યા છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંભાળેલા સત્તાના સૂત્રો બાદ સમગ્ર દેશને રાજકીય સત્તાની વ્યાખ્યા બદલવાની ફરજ પડી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિધાનસભાની 182 બેઠકોમાં આવતા તમામ તાલુકા અને તાલુકાના શહેરો તથા ગામો જોડે જીવંત સંપર્ક કેળવી ત્યાંના વિકાસ ઉપર લક્ષ્ય કેન્દ્રીત કર્યું હતું. જેના પરિણામે તેઓ અત્યાર સુધી અજેય રહેવા પામ્યા છે.
2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ છેલ્લા 8 વર્ષમાં દેશના તમામ જિલ્લા, તાલુકા અને ટચૂકડા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસના બનાવેલા માસ્ટર પ્લાનનો અસરકારક અમલ શરૂ કર્યો છે જેનું સૌથી સુંદર દૃષ્ટાંત દાદરા નગર હવેલી અને દમણ-દીવ છે.
સમાજના દરેક સ્તરના લોકોનું જીવન-ધોરણ ઊંચું આવે, પારદર્શક અને ગતિશીલ પ્રશાસન મળે, ભારત સરકારની વિવિધ યોજનાઓના સફળ કાર્યાન્વયની નીતિ મોદી સરકારની ખાસ ખાસિયત રહી છે. જેના કારણે દેશના નાગરિકો અને મતદારોને પહેલી વખત એવું લાગી રહ્યું છે કે, દિલ્હીમાં અમારી કાળજી લેતી સરકાર બેઠેલી છે. જેના પરિણામ સ્વરૂપ નાગરિકો સરકાર પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવા મત આપે એ સ્વાભાવિક છે.
આજે દાદરા નગર હવેલી અનેદમણ-દીવની વાત કરવામાં આવે તો બંને પ્રદેશો તેમની મુક્તિથી સર્વાંગી વિકાસથી વંચિત હતા. કોઈપણ પ્રદેશના વિકાસ માટે શિક્ષણ, માળખાગત સુવિધા, કનેક્ટીવિટી તથા કાયદો અને વ્યવસ્થા અસરકારક રહેવી જરૂરી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉચ્ચ શિક્ષણના લગભગ તમામ દરવાજા ખુલી ગયા છે અને ઘરઆંગણે જ વિવિધ સરકારી કોલેજોનો આરંભ થયો છે. માળખાગત સુવિધાની દૃષ્ટિએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અવ્વલ બની રહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહત્વના રોડ નેશનલ હાઈવે સાથે જોડાયા છે. દમણમાં ડોમેસ્ટિક એરપોર્ટનો પ્રારંભ થવાની અણી ઉપર છે. દીવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત સેલવાસ સ્માર્ટ સીટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ-બસની સુવિધા પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધડમૂળથી પરિવર્તન આવ્યું છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પヘમિ ભારતના ગોલ્ડન કોરિડોરનો હિસ્સો બની ચુક્યુ છે અને ઝડપથી મુંબઈની તર્જ ઉપર આગળ વધી રહ્યું છે.
ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ પાછળ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી દૃષ્ટિઅને અસરકારક આયોજન રહ્યું છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે બ્યુરોક્રેટને હટાવી રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલની તર્જ ઉપર કસાયેલા રાજનીતિજ્ઞ એવા શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી નિયુક્તિ બાદ આજે પરિવર્તન નજરે પડે છે. તેથી પ્રદેશના બહુમતિ લોકો જ્યારે મત આપવા માટે જાય તે વખતે ભાજપ સિવાય બીજું કંઈ જ નહીં દેખાય એ સો ટકા વાસ્તવિકતા છે.
સોમવારનું સત્ય
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના પૂરોગામી પ્રશાસકોથી ચાલી આવેલી પરંપરામાં ધડમૂળથી કરેલા ફેરફારનું સારૂં પરિણામ મળી રહ્યું છે. ભૂતકાળમાં ભાગ્યે જ કોઈ પ્રશાસક કોઈ વિકાસના કામોનું નિરીક્ષણ કરવા જતા હતા. તે સમયે શરૂઆતમાં એકાદ વખત ડેવલપમેન્ટ કમિશ્નર અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને પછીની જવાબદારી આસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરની રહેતી હતી. આસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરે આપેલા ઓ.કે. ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેવલપમેન્ટ કમિશ્નરે મારેલી મહોર ઉપર પ્રશાસક પણ પોતાનો કળશ ઢોળતા. જેના કારણે કામની ગુણવત્તા બાબતે હંમેશા પ્રશ્નો રહેતા. હવે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કોઈપણ કાર્ય યોજનાનું ફક્ત એક જ વખત નહીં, પરંતુ પોતાને સંતોષ નહીં થાય અને તે કામ પૂર્ણ નહીં થાય ત્યારે ગમે તેઘડીએ નિરીક્ષણ માટે નીકળી જતા હોય છે. જેના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પણ ગુણવત્તા જાળવવાની માવજત લેવાની ફરજ પડી રહી છે.