પડોશના ગુજરાત કે મહારાષ્ટ્રમાં થતા કોમી દંગલની આગ ક્યારેય પણ દમણ-દીવમાં પ્રગટી નથી પરંતુ લેસ્ટરની ઘટનામાં દમણ-દીવના કેટલાક મૂળ ભારતીય મુસ્લિમો પણ પાકિસ્તાનીઓના હાથા બન્યા હોવાની પ્રકાશમાં આવેલી હકીકત ચિંતાનો વિષય બની છે
દમણ અને દીવપોર્ટુગીઝ સલ્તનતના 450 વર્ષના શાસનકાળ અને આઝાદીના 60 વર્ષને જોડતાં છેલ્લા 510 વર્ષથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી વગેરે તમામ ધર્મના લોકો હળીમળીને એક પરિવારની માફક જીવતા આવ્યા છે. પડોશના ગુજરાત કે મહારાષ્ટ્રમાં થતા કોમી દંગલની આગ ક્યારેય પણ દમણ-દીવમાં પ્રગટી નથી. કેટલાક તોફાની તત્ત્વોએ ભૂતકાળમાં કાંકરીચાળો કરવાની કરેલી કોશિષને પણ દમણ-દીવના ઉદારમતવાદી હિન્દુ અને મુસ્લિમ આગેવાનોએ દાબી દીધી હતી.
હાલમાં સાત સમંદર પાર યુ.કે.ના લેસ્ટર ખાતે પાકિસ્તાની મુસ્લિમો દ્વારા ખાસ કરીને દમણ-દીવના મૂળ ભારતીય હિન્દુઓ ઉપર કરવામાં આવી રહેલા હૂમલા વખોડવાને પાત્ર તો છે જ, પરંતુ પાકિસ્તાનીઓની સાથે મળી હૂમલા કરવામાં દમણ-દીવના કેટલાક ભારતીય મુસ્લિમો પણ સામેલ હોવાની વાત જ્યારે પ્રકાશમાં આવી રહી છે તે ખરેખર ખુબ જ ઘૃણાસ્પદ અને ધિક્કારને પાત્ર છે. કારણ કે, દમણ-દીવના 510 વર્ષના સંસ્કારને લજવવાનું કામ કર્યું છે. આવા તત્ત્વો હિન્દુ હોય કે મુસ્લિમ હોય તેઓ માફીને લાયક નથી. આ પ્રકારની હરકત ભલે સાત સમંદર પાર કરવામાં આવી હોય પરંતુ તેના તરંગ માતૃભૂમિ દમણ-દીવ સુધી પહોંચવાના જ છે તેની ચિંતા લબરમૂંછિયા યુવાનોએ તો નથી કરી, પરંતુ તેમના પરિવારની જવાબદારી પણવધી જાય છે. આવા તત્ત્વો ભલે આપણે ત્યાં નોકરી કરતા હોય કે આપણાં આશ્રિત હોય પરંતુ છેવટની જવાબદારી નોકરીદાતા કે આશ્રય આપનારની જ બનતી હોય છે. તેથી આવા લોકોને પનાહ આપતા પહેલાં પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે.
યુ.કે.ના લેસ્ટરમાં સળગેલી આગ વહેલી તકે બુઝવી જોઈએ અને દમણ-દીવના હિન્દુ-મુસ્લિમ સહિત સર્વ ધર્મના લોકોએ દરમિયાનગીરી કરી પાકિસ્તાનના હાથા નહીં બને તેની તકેદારી રાખવી પડશે.