(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા આજે આયોજીત વિશેષ ગ્રામસભામાં એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરવામાં આવેલ પસંદગીને આવકારવામાં આવી હતી અને ભારતની આઝાદીના 75 વર્ષમાં પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ ઉપર આદિવાસી ઉમેદવારની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએનો આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્યક્ષસ્થાને વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં સરપંચશ્રીએ દેશની આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી ટાણે દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિના પદ ઉપર પ્રથમ વખત આદિવાસીની કરેલી પસંદગી બદલ સમગ્ર દમણવાડા ગ્રામ પંચાયત ભાજપ શાસિત એનડીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રગતિશીલ અને સમરસતા પ્રેરક નિર્ણયનો સત્કાર કરે છે અને તેમના પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.
આ પ્રસંગે દમણવાડા વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવેલ વિશેષ ગ્રામસભાની પ્રશંસાકરી હતી અને આદિવાસી સમુદાયને રાષ્ટ્રપતિ બનવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પંચાયતની સલાહકાર સમિતિના સભ્ય શ્રી હરેશભાઈ(પપ્પુભાઈ)બારી, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી રવુભાઈ બારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ આટોપી હતી.