-
વહીવટી ઉદાસિનતા રાખવા બદલ કરાયા હતા સસ્પેન્ડઃ કેટલીક શરતો અને પેનલ્ટી સાથે પરત ખેંચાયેલું સસ્પેન્શન
-
એસોસિએટ ટાઉન પ્લાનર તરીકે પી.પી.પરમારની છાપ એક પ્રમાણિક અધિકારીની રહી છે અને તેમના સમયગાળા દરમિયાન બહુ મોટા ભ્રષ્ટાચારની બૂમ સંભળાઈ નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણના એસોસિએટ ટાઉન પ્લાનર શ્રી પી.પી.પરમારનું સસ્પેન્શન પરત ખેંચવાનો આદેશ પ્રશાસનના સતર્કતા વિભાગના નિર્દેશક સહ સંયુક્ત સચિવ શ્રી આશિષ મોહને ડિસિપ્લીનરી ઓથોરિટીની મંજૂરીથી કર્યો છે.
શ્રી પી.પી.પરમારને 6 જુલાઈ, 2018ના રોજ તેમના વિભાગ સંબંધિત પ્રશાસનિક કાર્યમાં ઉદાસિનતા રાખવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો. પેનલ્ટી અને કેટલીક શરતો સાથે શ્રી પી.પી.પરમારનું સસ્પેન્શન પરત ખેંચાતા હવે સંઘપ્રદેશના ટાઉન પ્લાનિંગ વિભાગને પૂર્ણ સમયના એસોસિએટ ટાઉન પ્લાનર મળશે.
અત્રે નોંધનીય છે કે, એસોસિએટ ટાઉન પ્લાનર તરીકે શ્રીપી.પી.પરમારની છાપ એક પ્રમાણિક અધિકારીની રહી છે. તેમના સમયગાળા દરમિયાન બહુ મોટા ભ્રષ્ટાચારની બૂમ સંભળાઈ નથી. પરંતુ પ્રશાસનિક કાર્યોમાં રાખેલી ઉદાસિનતાના કારણે સંઘપ્રદેશ પ્રશાસને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરી પ્રશાસનિક વર્તુળમાં સોપો પાડી દીધો હતો.
હવે શ્રી પી.પી.પરમારનું સસ્પેન્શન કેટલીક શરતો અને પેનલ્ટી સાથે પરત ખેંચાતા ટાઉન પ્લાનિંગ સંબંધિત ગતિવિધિમાં હવે ઝડપ વધશે એવી આશા પણ રાખવામાં આવી રહી છે.