(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: વલસાડ શહેરની નજીક આવેલા અટાર ગામની પી.કે.ડી. વિદ્યાલય ખાતે તા.27મી થી તા. 28મી ડિસેમ્બર સુધી યોજાનારા બે દિવસીય વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનો એન.જે. ગૃપના કો-ફાઉન્ડર જિગ્નેશ દેસાઈ અને નીરજ ચોક્સી હસ્તે પ્રારંભ કરાયો હતો. આ એક્ઝિબિશનનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરો અમદાવાદ, વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને નવસર્જન કેળવણી મંડળ-અટાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ભીખુભાઈ દેસાઈ, એન.જે. ગૃપના નીરજભાઈ ચોક્સી અને જિગ્નેશ દેસાઈ, અતુલ કંપનીના ફાઉન્ડર મેમ્બર સ્વાતિબેન, ઈસરો એક્ઝિબિશન હેડ નરેશભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમારોહમાં પૂ. નિત્યાનંદ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. સ્પેસ એક્ઝિબિશન વિવિધ શાળાઓના 4000થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે.
આ સ્પેસ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈસરોએ પચાસ વર્ષમાં અંતરિક્ષ ક્ષેત્રે કરેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવાનો છે. તેમજ વિદ્યાર્થીઓમાં સ્પેસ વિશે જાગૃતિ અને રૂચી કેળવવાનો છે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષને લગતી જુદી જુદી માહિતી આપવામાં આવશે.દીવાળી બાદ અત્યાર સુધી 9 જેટલા એક્ઝિબિશન જયપુર, ગ્વાલીયર, હરિદ્વાર, દહેરાદૂન, ભોપાલ, ઝાંસી, ચુરૂ, અજમેર ખાતે યોજાઈ ચૂકયા છે. અમદાવાદ ખાતે ઈસરોનું સ્થાયી એક્ઝિબિશન છે જેની અસંખ્ય લોકો મુલાકાત લે છે પરંતુ જે લોકો ત્યાં જઈ નથી શકતા એમના માટે મોબાઈલ એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે. ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ દેશના જુદા જુદા વિસ્તારોમાં સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરી માહિતી પ્રશદાન કરે છે. ખાસ કરીને નાના ગામોમાં કે જ્યાં વધુ સુવિધાઓ હોતી નથી ત્યાં પણ આયોજન કરાય છે.
હાલમાં અટારની પી.કે.ડી. વિદ્યાલય ખાતે યોજાઈ રહેલા એક્ઝિબિશનમાં કુલ ચાર વિભાગ દ્વારા અંતરિક્ષ વિષયક માહિતી આપવામાં આવી રહી. જેમાં ઈસરોના પ્રોજેક્ટ્સ જેવા કે મંગળયાન, ચંદ્રયાન, આદિત્ય મિશન, હ્યુમન સ્પેસ પ્રોગ્રામ, બીગ બેંગ થીયરીનો સમાવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક રીતે રોકેટ લોન્ચિંગના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરાય છે. સાથે સાથે સ્પેસ ઓન વ્હીલ બસમાં ઈસરોના વિવિધ પોજેક્ટોનું પ્રદર્શન કરાઈ રહ્યું છે. આ પ્રદર્શન દ્વારા બાળકોમાં અંતરિક્ષ વિશે વધુ જણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થશે એવી સૌને આશા છે. તેમજ પ્રદર્શની સાથે વિદ્યાર્થીઓમાં હિંદી અને ગુજરાતી ભાષા પ્રત્યેજાગૃતિ વધે અને ભાષામાં રસ ઉત્પન્ન થાય તે હેતુસર આ શાળાના બાળકો માટે ઈસરોમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ભાષા નાયબ નિયામકશ્રી નીલુબેન શેઠ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, મોડેલ મેકિંગ અને ક્વીઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમની આભાર વિધી અનાવિલ પરિવારના પાર્થિવ દેસાઈએ કરી હતી.