-
લો વોલ્ટેજ અને વીજ કાપની ફરિયાદો હવે ભૂતકાળ બની ગઈઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
-
નવા સબ સ્ટેશનથી 22 ગામના 13248 વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: વલસાડ તાલુકાના ફ્લધરા ગામમાં જલારામ ધામ ખાતે રવિવારે સવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા નિર્મિત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મનાઇચોંઢી અને તિસ્કરી તલાટ તેમજ વલસાડ તાલુકાના વેલવાચ ગામમાં 66 કેવી સબ સ્ટેશનનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી જાસ્મીન હસરત અને એડિશનલ ચીફ એન્જિનિયર જે.એસ.કેદારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂ. 26 કરોડ 64 લાખ 94 હજારના ખર્ચે તૈયાર કરાયેલા આ સબ સ્ટેશનોનું ઈ-લોકાર્પણ થતા ત્રણેય ગામના તેમજ આસપાસના 8 કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ 22 ગામના 13248 વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ઘરે ઘરે 24 કલાક વીજ પુરવઠો મળતો રહે તે માટે નવા સબ સ્ટેશનો નંખાઈ રહ્યા છે, હવે લો વોલ્ટેજ અને વીજકાપની ફરિયાદો ભૂતકાળ બની છે. જે માટે ડીજીવીસીએલના એમડી અને જેટકોના અધિકારી સહિત સમગ્ર ટીમને અભિનંદન આપવા પડે છે. હવે ગ્રાહકો પણ વીજ ચોરી કરતા નથી જેના કારણે વીજ કંપનીનુ નુકસાન પણ ઘટ્યું છે એ માટે ગ્રાહકોને પણ અભિનંદ આપવા પડે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકો તેમને કહેતા કે, રાત્રે જમતી વખતે વીજળી આપજો પણ મોદીજીએ 24 કલાક વીજળી આપવાનું ચાલુ કર્યું હતું. જે આજદિન સુધી લોકોને મળતી રહી છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, પહેલા અનેક વિસ્તારમાં લો વોલ્ટેજની ફરિયાદ આવતી હતી જેને ઉકેલવા માટે 66 કેવીના સબ સ્ટેશન બની રહ્યા છે. હવે આગામી દિવસમાં અટગામના સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે. ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્નથી પાયાની જરૂરીયાત એવી વીજળી ગુણવત્તાસભર રીતે રહેણાંક, ઉદ્યોગો અને ખેડૂતોને પણ મળી રહી છે. નવા સબ સ્ટેશનથી પૂરતા દબાણથી વિના વિક્ષેપે વીજળી મળશે. નવા વીજ જોડાણો પણ આપી શકાશે.
નવસારી સ્થિત જેટકોના અધિક્ષક ઈજનેર અભય દેસાઈએ જણાવ્યુ કે, મનાઈચોંઢી સબ સ્ટેશન રૂ. 1302.97 લાખ, તિસ્કરી તલાટ સબ સ્ટેશન રૂ. 701.78 લાખ અને વેલવાચ સબ સ્ટેશન રૂ. 660.19 લાખના ખર્ચે બન્યું છે. રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા સબ પ્લાન્ટ ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા વિના માત્ર આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસ અર્થે સબ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.
ફલધરા ગામના જલારામ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફૂલસિંગભાઈ પટેલે સ્વાગત કરતા કહ્યું કે, મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આ વિસ્તારના જાણકાર હોવાથી જિલ્લામાં વિકાસના કામો થઈ રહ્યા છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ, જિ.પં.ના સભ્ય કાકડભાઈ, ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન ગાવિત, ધરમપુર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પિયુષભાઈ, ડીજીવીસીએલ વલસાડ વિભાગના અધિક્ષક ઈજનેર એમ.એમ.પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવસારી જેટકોના દિપકભાઈ સી.પટેલે કર્યું હતું.