વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર ચાલકને ઝોકું આવી જતા ડિવાઈડર કુદી સામે આવી રહેલી લક્ઝરી બસને ભટકાતા નવ જીંદગી સ્થળ ઉપર જ હોમાઈ ગઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ઈસુ વર્ષનો અંતિમ દિવસ વલસાડ જિલ્લા અને ગુજરાત માટે કાળમુખો સાબિત થયો હતો. સેલવાસથી ફોર્ચ્યુનર કારમાં અંકલેશ્વર કંપનીમાં જવા નિકળેલા નવ કર્મચારીની કારના ચાલકને ઝોકું આવી જતા શનિવારે મળસ્કે 3:30 વાગ્યાના સુમારે અમદાવાદ તરફથી સ્વામિનારાયણ મહોત્સવના દર્શન કરી વલસાડ આવી રહેલ ભાવિકો ભરેલ લક્ઝરી બસ સાથે ને.હા. 48 વેસ્મા ગામ પાસે ડીવાઈડર કુદીને કાર લક્ઝરી બસને ધડાકાભેર અથડાતા કાળમુખો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસના મુસાફર સહિત કાર સવાર 8 યુવાનોની જીંદગી ઘટના સ્થળે હોમાઈ ગઈ હતી. જ્યારે કાર સવાર પૈકી એક ગંભીર ઘાયલ સ્થિતિમાં સુરત સારવાર માટે ખસેડાયો હતો.
કરુણ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વર સ્થિત પ્રો.લાઈફ કમો ફાર્મા કંપનીના 9 કર્મચારી શનિવારે મળસ્કે કંપનીમાં જવા માટે સેલવાસથી ફોર્ચ્યુનર કારમાં નિકળ્યા હતા ત્યારે નવસારી નજીક વેસ્મા ગામે હાઈવે ઉપર કાર ચાલકને ઝોકું આવીજતા 150 કી.મી.થી વધારે સ્પીડ ગતિમાં દોડી રહેલી કાર ડિવાઈડર કુદીને સુરત તરફથી આવી રહેલ લક્ઝરી બસને ધડાકાભેર અતડાઈ હતી. જેમાં કાર સવાર 9 પૈકી 8 કર્મચારીઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને એકમાત્ર કર્મચારી ગંભીર ઘાયલ હતો તેને સિવિલ સુરત સારવાર માટે ખસેડાયો હતો તો બીજી તરફ અમદાવાદથી સ્વામિનારાયણ મહોત્સવમાં દર્શન કરીને વલસાડ આવી રહેલી લક્ઝરીમાં ભાવિકો સવાર હતા તે પૈકી ડ્રાઈવરની બાજુમાં બેઠેલા 55 વર્ષિય ગણેશ ટંડેલને હૃદયરોગનો હુમલો આવી જતા મોત નિપજ્યું હતું. બસના ઘાયલ 32 મુસાફરોને પણ સારવાર માટે સિવિલ સુરત ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, જાણવા મળ્યા મુજબ ફોર્ચ્યુનર કાર સવારોને વલસાડ પોલીસે પકડયા હતા પરંતુ ચર્ચા મુજબ 15 હજાર આપી છૂટી ગયા હતા. અંતે વેસ્મા હાઈવે ઉપર નવા વર્ષનો છેલ્લો દિવસ તેમની જીંદગીનો અંતિમ દિવસ બની રહ્યો હતો.