પારડી પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટની સેવાને લઈ નિર્વિઘ્ન થઈ બાપાની વિદાય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: સમગ્ર ભારત સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી લઈ અનંત ચૌદસ સુધી સાર્વજનિક રીતે ગણપતિ બાપાની 11 દિવસ સ્થાપના કર્યા બાદ નદી કે દરિયામાં બાપાનું વિસર્જન કરવામાં આવે છે.
ગણપતિ બાપા પ્રત્યેની શ્રદ્ધા કહો કેએકમેકની દેખાદેખી પરંતુ જાગૃત થયેલ સનાતની હિન્દુઓ છેલ્લા થોડા વર્ષોથી પ્લાસ્ટર ઓફ પેરિસની પરંતુ કદમાં મોટી ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરવાનો સિલસિલો ચાલી આવ્યો છે.
પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં સર્વે મંડળના કાર્યકર્તાઓની સાથે યોજાયેલ બેઠકમાં નક્કી થયેલ સમય અને રૂટ પ્રમાણે આજના અનંત ચૌદસના દિવસે હર્ષ ઉલ્લાસ અને વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં પારડી સ્વાધ્યાય મંડળ, બાલાખાડી, શાકભાજી માર્કેટ, ચીવલ રોડ, બ્રહ્મદેવ મંડળ જૂની મામલતદાર, કહાર વાડ, પારડી દમણી ઝાંપા, પટેલ સ્ટ્રીટ જેવા અનેક સ્થળેથી બાપાની વિસર્જન યાત્રા સમય પ્રમાણે નીકળી હતી. ઢોલ અને ડીજેના સથવારે સંગીત સાથે ‘‘ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ” જેવા વિવિધ નારાઓ સાથે નીકળેલ બાપાની આ વિસર્જન યાત્રા દરેક મંડળો દ્વારા પરિધાન કરેલ રંગબેરંગી જુદા જુદા ડ્રેસોને લઈ સમગ્ર નગર રંગબેરંગી કલરોથી શોભી ઉઠ્યું હતું.
પાર નદી કિનારે પારડી નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરી આવવા જવાનો રસ્તો, લાઇટિંગ, અને નાસ્તાની સગવડ કરવામાં આવી હતી. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લીંબુ શરબતની સગવડને લઈ લોકોની પ્યાસ બુઝાય હતી.
પારડી પોલીસના ચુસ્તબંદોબસ્ત અને પારડી ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના યુવાનોની ખડે પગે સેવાને લઈ સર્વે ગણેશજીનું શાંતિ અને ભક્તિ ભાવથી કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વિના નિર્વિઘ્ને ગણપતિ બાપાનું વિસર્જન થયું હતું.